ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસમાં ટિકિટને લઇ વિખવાદ સામે આવ્યો છે. સૌથી પહેલા વાત કરીએ તો મહીસાગરના લુણાવાડામાં કોંગ્રેસના કાર્યકરોએ સંભવિત ઉમેદવાર પી.એમ. પટેલનો વિરોધ કર્યો, તો અપક્ષ ઉમેદવારને ચૂંટણી લડાવીશુ તેવી ચીમકી પણ ઉચ્ચારી. તો મહેસાણાની કડી વિધાનસભા બેઠક પર ઉમેદવારના નામને લઈ વિવાદ થયો. સેનમા સમાજે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે વિરોધ નોંધાવ્યો.
જ્યારે વડોદરાની માંજલપુર બેઠક પર તસવીન સિંઘનું નામ જાહેર કરાતા વિવાદનો વંટોળ જોવા મળ્યો. તો આ તરફ કચ્છ કોંગ્રેસમાં ચૂંટણી પહેલા ભંગાણ પડ્યું. ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ રાજીનામું આપી દીધું છે. તો દાહોદના ઝાલોદમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. કોંગ્રેસે ઉમેદવાર ન બદલતા 2000થી વધુ કાર્યકરોએ રાજીનામું આપ્યું છે.
તો જાતિગત રાજકારણ પણ તેજ થયુ છે. કડીના અનુસૂચિત જનજાતિ સમાજની કોંગ્રેસ સામેના નારાજગી પર વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રીયા આપી છે. રાઠવાએ કહ્યુ કે, “ચૂંટણી આવે ત્યારે દરેક સમાજનો ટિકિટ માંગવાનો અધિકાર હોય છે, સમાજના લોકોને અપેક્ષા હોય કે ટિકિટ તેમના સમાજ ને મળે. પરંતુ આ વખતે કોંગ્રેસ આક્રમકતાથી ચૂંટણી લડવાની છે, જેથી ચૂંટણી જીતી શકાય તેવા ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવી છે.
Published On - 8:44 am, Mon, 7 November 22