મોરબી પુલ હોનારતને લઇ હાઇકોર્ટમાં વધુ એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે SITને વિખેરીને સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવામાં આવે. એટલું જ નહીં SITમાં કોઈ સ્ટ્રક્ચરલ નિષ્ણાંત ન હોવાથી દુર્ઘટનાનું સાચુ કારણ નહીં મળે તેવો પણ અરજદારે ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે ભૂતકાળમાં આવી ઘટનામાં તપાસ થઈ તેની વિગતો સામે ન આવી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે. તો મૃતકોના પરિવારને 25 લાખ અને ઈજાગ્રસ્તોને 5 લાખ ચૂકવવા અરજદારે માગ કરી છે.
આ પહેલા 7 નવેમ્બરે મોરબી દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટ તરફથી કેટલાક નિર્દેશો આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સરકાર, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવાધિકાર પંચ, મોરબી ક્લેક્ટર, ગૃહ વિભાગ, અર્બન હાઉસિંગ, હ્યુમન રાઇટ્સ અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. તો દુર્ઘટના પર પ્રસિદ્ધ થયેલા સમાચાર અહેવાલોને ધ્યાને લેવા હાઇકોર્ટે સૂચન કર્યા છે. તો સાથે જ 134 લોકોના મોત મુદ્દે સમાચાર અહેવાલોને ધ્યાને લેવા સૂચના આપી છે.
આટલી મોટી દુર્ઘટના બને છે. જેની વૈશ્વિક સ્તરે પણ નોંધ લેવામાં આવી છે, 135 લોકોના કેબલ બ્રિજ દુર્ઘટનામાં મોત થયાનું સામે આવ્યુ છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યુ છે અને સમગ્ર મામલે સુઓ મોટો અરજી દાખલ કરી છે. વધુમાં હાઇકોર્ટ દ્વારા કેટલાક નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. જેમાં તમામ પક્ષકારોને એક સપ્તાહ બાદ એટલે કે સોમવાર સુધીમાં પોતાના તરફથી જે જે રિપોર્ટ તૈયાર કરવા સૂચન કર્યુ છે. 14 નવેમબરે આ મામલે ફરી સુનાવણી હાથ ધરાશે. જેમાં પક્ષકારો પોતાનો રિપોર્ટ રજુ કરશે.
મહત્વનું છે કે મોરબી દુર્ઘટનાને લઇને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે કે, આ કેસમાં હાઈકોર્ટ હસ્તક્ષેપ કરીને જવાબદારો સામે પગલા લે. આ અરજીમાં મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્તોને ન્યાય મળે તેવી અરજીમાં રજૂઆત કરાઈ હતી. જેને લઇને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.