ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે 2017માં ભાજપે ગુમાવેલી અનામત બેઠકો જીતવા કમરકસી છે. ખાસ કરીને રાજ્યની પૂર્વ પટ્ટી પર આવેલી આદિવાસી મતબેંક કરવા ભાજપે એડિચોટીનું જોર લગાવ્યું છે. અને આદિવાસી બેઠકો અંકે કરવા ખુદ ગૃહપ્રધાન અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે દાહોદના ઝાલોદ, નર્મદાના નાંદોદમાં અને ભરૂચના વાગરામાં સભા સાથે રોડશો કરશે. મહત્વપૂર્ણ છે કે આદિવાસી મતબેંક અંકે કરવા ભાજપની રણનીતિના ભાગરૂપે જ અગાઉ હર્ષ સંઘવી અને કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઇરાની પ્રચંડ પ્રચાર કરી ચૂક્યા છે.
આપને જણાવી દઇએ કે રાજ્યની આદિવાસી અનામત ધરાવતી 27 બેઠકો પર 2017માં ભાજપે ભારે નુકસાન સહન કરવું પડ્યું હતુ. 2017ની ચૂંટણીમાં 27માંથી ભાજપને માત્ર 9 બેઠકો જ મળી હતી. જ્યારે કોંગ્રેસનો 15 બેઠકો પર પરચમ લહેરાયો હતો. જ્યારે બીટીપીના ફાળે 2 અને અપક્ષનો 1 બેઠક પર વિજય થયો હતો, ત્યારે ભાજપ નથી ઇચ્છતું કે 27 બેઠકોના 2017ના પરિણામોનું પુનરાવર્તન થાય, અને તેથી જ 2022માં હારેલી બેઠકો જીતવા ભાજપ એડિચોટીનું જોર લગાવી રહ્યું છે, ત્યારે ભાજપની આ મહેનત આદિવાસીઓનું દિલ જીતવામાં કેટલી સફળ થાય છે તે પરિણામો પરથી સ્પષ્ટ થઇ જશે.
Published On - 12:34 pm, Fri, 25 November 22