વિધાનસભા ચૂંટણી (Assembly elections) નજીક આવતા જ હવે પક્ષપલટાની મૌસમ પણ શરુ થઇ ગઇ છે. ત્યારે હવે કોંગ્રેસની (Congress) વોટબેંકમાં ભાજપે (BJP) ફરી મોટો ખાડો પાડ્યો છે. ભરૂચ જિલ્લાના લગભગ 12થી વધુ મુસ્લિમ બહુમતી ધરાવતા ગામોના 300 જેટલા મુસ્લિમો મંગળવારે ભાજપમાં જોડાઇ ગયા છે. આ તમામ લોકોએ માત્ર કેસરિયો ધારણ જ નથી કર્યો, પરંતુ પોતાના ગામોના પ્રવેશદ્વાર પર ભાજપનો ઝંડો પણ ફરકાવ્યો છે. જેમાં વર્ષોથી કોંગ્રેસમાં રહેલા બાંબુસર ગામના સરપંચ ગુલામ પટેલનો સમાવેશ થાય છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા તમામ કાર્યકરોનું ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ ખુશ છે કે આ લોકોએ કોંગ્રેસ છોડી દીધી છે અને ભાજપની વિચારધારામાં વિશ્વાસ દર્શાવ્યો છે.
ભરૂચથી 19 કિમી દૂર મુસ્લિમ બહુમતી ધરાવતા ગામ બાંબુસરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભાજપના મહામંત્રી દિગ્વિજય ચુડાસમા, ભાજપના લઘુમતી મોરચાના સલીમ ખાન પઠાણ અને મુસ્તફા ખોડા સામેલ થયા હતા. અત્યાર સુધી આ તમામ ગામો ચૂંટણીમાં કોંગ્રેસને એકતરફી મત આપતા હતા, હવે અહીંથી ભાજપને મત મળવાની આશા છે.
ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતે સ્વીકાર્યું હતું કે હવે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા ગામો બાંબુસર, વાલેડિયા, વાલેજ, સેગવા, ખાન, ચીફોન, લુવારા, જનોદ સમરોદ, કોઠી ગામમાં પણ ભાજપનો ઝંડો લગાવવામાં આવ્યો છે. આ તમામ ગામોના લોકોએ પણ હવે ભાજપના સૂત્ર ‘સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ’ પર ભરોસો કર્યો છે.
ગુજરાતમાં દાયકાઓથી ભાજપનું શાસન ભલે છે. તેમ છતા ભરૂચ જિલ્લામાં ભાજપને મતદારોને આકર્ષવામાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ભરુચ વિધાનસભામાં કુલ પાંચ બેઠકો આવેલી છે. વાગરા, ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા અને જંબુસર. હાલ સંજય સોલંકી કોંગ્રેસની ટિકિટ પર જંબુસરથી ધારાસભ્ય છે. બીજી તરફ BTPના છોટુ વસાવા ઝઘડિયાના ધારાસભ્ય છે. બીજી તરફ અંકલેશ્વર, ભરૂચ અને વાગરા જેવી બેઠકો ભાજપ પાસે છે. અહીંથી ઈશ્વર પટેલ, દુષ્યંત પટેલ અને અરુણસિંહ રાણા ધારાસભ્ય છે. કારણ કે અહીં મુસ્લિમોની મોટી વસ્તી છે. આવા સંજોગોમાં આટલી મોટી સંખ્યામાં મુસ્લિમો ભાજપમાં જોડાતા તેની અસર જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર પડવાની સંભાવના છે.
300 મુસ્લિમોના ભાજપમાં જોડાવાના સમાચાર બાદ કોંગ્રેસ હચમચી ગયુ છે. સમાચાર મળતાં જ ભરૂચ કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ એક ટીમ બનાવી છે. આ ટીમ જાણવાનો પ્રયાસ કરશે કે આટલી મોટી સંખ્યામાં મુસ્લિમો કોંગ્રેસ છોડી ભાજપમાં કેમ જાય છે? તેમણે કહ્યું કે કોંગ્રેસની આ ટીમ તમામ ભાજપમાં જોડાયેલા લોકોને તેમના ઘરે મળશે અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરશે.
આ સમસ્યાનો તાર્કિક ઉકેલ ટૂંક સમયમાં મળી જશે. તેમણે સ્વીકાર્યું કે ખાન ગામના સરપંચ મુબાલક બોદર, માચ ગામના પૂર્વ સરપંચ યાકુબ કાલા અને ડેપ્યુટી સરપંચ બંબુસર હાફિઝ ફરીદ જૂના કોંગ્રેસી હતા. આ ઉપરાંત સેગવા ગામના સરપંચ ગુલામભાઈ નાહટા પણ લગભગ 15 વર્ષથી કોંગ્રેસી હતા.
સેગવાના સરપંચ ગુલામ નાહટાએ જણાવ્યું કે, તેમના ગામમાં અઢી હજારથી વધુ મુસ્લિમ લોકો છે. સલીમ ખાન અગાઉ ભાજપમાંથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા છે. કોરોનાકાળ દરમિયાન જ્યારે આખો દેશ પરેશાન થઈ ગયો હતો. ત્યારે આ ગામમાં જ 35 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. તે સમયે સલીમ ખાને ધારાસભ્ય અરુણ સિંહ રાણા સાથે મળીને ગામમાં મેડિકલ કેમ્પ બનાવ્યો હતો. જ્યાં દર્દીઓની તપાસ અને સારવારની સુવિધા પુરી પાડવામાં આવી હતી. તે સમયે કોંગ્રેસના નેતાઓ માત્ર થોડીવાર માટે જ ગામની મુલાકાતે આવ્યા હતા.