Gujarat Election 2022: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના PM મોદી પરના નિવેદન પર જામ્યુ શાબ્દિક યુદ્ધ, જાણો કોણે શું પ્રતિક્રિયા આપી ?

Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં પહોંચેલા ખડગેએ 28 નવેમ્બરે વડાપ્રધાન મોદીને લઇને નિવેદન આપ્યુ હતુ. જેને લઇને રાજકારણ ગરમાયુ છે. ભાજપના અલગ અલગ નેતા ખડગેના નિવેદન સામે જવાબ આપી રહ્યા છે.

Gujarat Election 2022: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના PM મોદી પરના નિવેદન પર જામ્યુ શાબ્દિક યુદ્ધ, જાણો કોણે શું પ્રતિક્રિયા આપી ?
મલ્લિકાર્જુન ખડગેના PM મોદી પરના નિવેદન પર શાબ્દિક યુદ્ધ
| Edited By: | Updated on: Nov 29, 2022 | 4:58 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઇ રહી છે. ત્યારે રાજકીય ગરમાવો પણ વધતો જોવા મળી રહ્યો છે. રાજનીતિક દળોના પ્રચારકો પણ એકબીજા પર પ્રહારો કરતાં જોવા મળી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં પહોંચેલા ખડગેએ 28 નવેમ્બરે વડાપ્રધાન મોદીને લઇને નિવેદન આપ્યુ હતુ. જેને લઇને રાજકારણ ગરમાયુ છે. ભાજપના અલગ અલગ નેતા ખડગેના નિવેદન સામે જવાબ આપી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ ટ્વિટ કરીને ખડગેના નિવેદન સામે પ્રતિક્રિયા આપી છે.

આ નિવેદન કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે: સાંબિત પાત્રા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અંગે કરેલા વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે પીએમ મોદીના અપમાનને સમગ્ર ગુજરાતનું અપમાન ગણાવ્યું. સંબિત પાત્રાએ કહ્યું કે- કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પીએમ મોદીને રાવણ કહ્યા. આ પ્રકારની ભાષાનો ઉપયોગ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. આ ફક્ત ખડગેનું જ નહીં પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નિવેદન છે.. આ ફક્ત મોદીજીનું અપમાન નથી,, પણ આખા દેશ અને ગુજરાતનું અપમાન છે. ગુજરાતની જનતા તેમને અરીસો બતાવશે.

ગુજરાતની જનતા મતદાન સમયે જવાબ આપશે: રવિશંકર પ્રસાદ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને લઈ કરેલી ટિપ્પણી પર ભાજપે આકરા પ્રહાર કર્યા. પૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે દેશ અને દુનિયા જેમનું સન્માન કરે છે. તે PMનું કોંગ્રેસ કેમ વારંવાર અપમાન કરે છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે સોનિયા ગાંધીના ઈશારે વારંવાર PM મોદીનું અપમાન કરાઈ રહ્યું છે. આ અપમાનનો જડબાતોડ જવાબ ગુજરાતની જનતા મતદાન સમયે આપશે.

સિનિયર નેતાને આવા નિવેદન શોભતા નથી: સી આર પાટીલ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અંગે કરેલા વિવાદિત નિવેદન બાદ રાજનીતિ તેજ થઈ છે, ત્યારે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે રાજકોટમાં વળતો જવાબ આપતા કહ્યું- કોંગ્રેસે પોતાની સંસ્કારીતા ગુમાવી દીધી છે. ખડગે જેવા સિનિયર નેતાને આવા નિવેદન શોભતા નથી. પ્રધાનમંત્રી કોઈપણ પાર્ટીના હોય તેના પ્રત્યે સન્માન હોવું જોઈએ. પરંતુ હવે કોંગ્રેસ પાસે સંસ્કારની કોઈ અપેક્ષા ન કરવી જોઈએ.

ગુજરાતની પ્રજા કોંગ્રેસને નકારી કાઢશે: CM ભુપેન્દ્ર પટેલ

મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે, મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન એ ગુજરાતીઓ પ્રત્યે નફરત દર્શાવે છે. ગુજરાતની પ્રજા કોંગ્રેસને નકારી કાઢશે.

મલ્લિકાર્જુન ખડગેએ શું નિવેદન આપ્યુ હતુ ?

મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે- મોદી નાગરિકોને પોતાનો ચહેરો જોઈ મત કરવા અપીલ કરે છે.. શું રાવણની જેમ 100 માથા છે કે અલગ-અલગ મતની માગણી કરો છો? મલ્લિકાર્જુનના આ નિવેદન પર ભાજપ ચારેબાજુથી શાબ્દિક પ્રહાર કરીને કોંગ્રેસને ઘેરી રહ્યું છે.