ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ભાજપે ગુજરાતમાં પ્રચાર માટે દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન મોદી પોતે પણ ભાજપના પ્રચારમાં પ્રાણ ફુંકી દેવાના છે. જે માટે આજથી ત્રણ દિવસ PM મોદી ગુજરાતના પ્રવાસે રહેશે અને ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મોટાભાગની સીટ પર મતદારોને રીઝવશે. વડાપ્રધાન આજે એટલે કે 19 નવેમ્બરે વલસાડમાં, 20 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં, 21 નવેમ્બરે સુરેન્દ્રનગરમાં સભા ગજવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે એટલે કે આજથી વલસાડના વાપીથી ભાજપના પ્રચારનો દોર આગળ ધપાવશે.દમણના ડાભેલ ચેકપોસ્ટથી વાપીના ચલા વિસ્તારમાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે. જ્યારે વલસાડના જુજવામાં પીએમ જંગી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનને આવકારવા વલસાડ જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ અને સંગઠને તૈયારી કરી છે. તો તેઓ વલસાડમાં જ આજે રાત્રિ રોકાણ કરશે.
વડાપ્રધાન મોદી બીજા દિવસે એટલે કે 20 નવેમ્બરે સોમનાથ મહાદેવના દર્શન કરશે. જે પછી વેરાવળમાં જનસભા સંબોધશે. બાદમાં સૌરાષ્ટ્રના ધોરાજી, અમરેલી, બોટાદમાં પણ PM મોદી સભા ગજવશે. જે પછી તેઓ ગાંધીનગર જવાના રવાના થશે અને ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.
તો ત્રીજા દિવસે એટલે કે 21 નવેમ્બરે PM મોદી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે જશે. તેઓ જંબુસર અને નવસારીમાં જનસભા સંબોધશે.
આ સિવાય PM મોદી 28-29 નવેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સભા, રોડશો, જનસભા અને ડોર-ટુ-ડોર પ્રચારમાં જોડાશે. ત્યાર બાદ બીજા તબક્કાના મતદાન પૂર્વે એટલે કે 2-3 ડિસેમ્બરે PM મોદી ફરી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જનસભા અને ડોર-ટુ-ડોર પ્રચાર કરી મતદારોનો મત માગશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી ગુજરાત મુલાકાતે આવવાના છે. અગાઉ ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી વલસાડના નાનપોંઢા આવ્યા હતા. જ્યાં તેમણે સભા સંબોધન દરમિયાન જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપને મારી પાસે પ્રચારનો જેટલો સમય માગવો હોય તેટલો મારો આપવો પડે. હું ગુજરાતમાં પ્રચાર માટે ભાજપ જેટલો સમય માગશે તેટલો આપીશ. પોતે આપેલા વચન પ્રમાણે જ વડાપ્રધાન મોદી આગામી દિવસોમાં ગુજરાતમાં એક પછી એક પ્રચાર રેલીઓ કરવાના છે.