ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : PM મોદી આજથી ફરી બે દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારમાં જોડાશે અને મતદારોના મત જીતવા પ્રયાસ કરશે. પીએમ મોદી ભરૂચના નેત્રાંગમાં બપોરે 1 વાગ્યે વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરશે. જ્યારે બપોરે 3.30 વાગ્યે ખેડામાં અને સાંજે 6.30 વાગ્યે સુરતમાં જંગી જાહેર સભાને સંબોધી પ્રચાર કરશે. વરાછામાં જનસભા પહેલા PM મોદી સુરત એરપોર્ટથી જનસભા સ્થળ સુધી મેગા રોડ શો કરશે. 27 કિમીના રોડશોમાં PM મોદી લોકોનું અભિવાદન ઝીલશે. સુરતની તમામ 12 વિધાનસભા ક્ષેત્રમાં PM મોદી રોડ શો કરશે.
મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર ગણતરીનો સમય બાકી છે ત્યારે PM મોદી આ બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર ડોર-ટુ-ડોર પ્રચારમાં પણ જોડાશે. અને જનતા સાથે સીધો સંવાદ કરીને તેમને રીઝવવા પ્રયાસ હાથ ધરશે.
પાટીદાર મતદારોના ગઢ સમાન વિસ્તાર વરાછામાં વડાપ્રધાન મોદી સભા ગજવશે. આ સભામાં કતારગામ, વરાછા, કામરેજ, ઓલપાડ, કરંજ અને સુરત પૂર્વ સહિતની બેઠકના ઉમેદવારો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને લઈ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે.PM નરેન્દ્ર મોદીની સભાને લઈ પોલીસના વરિષ્ઠ અધિકારી, 1600થી વધારે પોલીસ જવાનો અને ટ્રાફિકની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો PM મોદીનો કાફલો પસાર થવાનો છે તે રૂટ વાહનોની અવર-જવર માટે બંધ કરાયો છે.
Published On - 7:03 am, Sun, 27 November 22