ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં તબક્કાના મતદાનના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 હજાર 362 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. બીજી તરફ હજુ પણ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવાનું ચાલુ છે. ત્યારે ભાજપે વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે ભાજપે 182 બેઠકમાંથી 178 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જોકે 4 બેઠક પર કોકડુ ગુંચવાયેલું છે. હજૂ પણ ખેરાલુ, માણસા અને માજલપુર અને ગરબાડા બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
182માંથી ભાજપના હજુ 4 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાકી છે. ત્યારે માંજલપુરમાં કોને ટિકિટ આપવી તેને લઇને પક્ષમાં અસમંજસની સ્થિતિ છે. યોગેશ પટેલનું પત્તુ કપાય તો બળવો થવાની પ્રબળ શક્યતા છે. અન્ય કોઇ ઉમેદવાર આવે તો પક્ષને મોટું નુકસાન થઇ શકે છે. માંજલપુરમાં 50થી વધુ દાવેદારી નેતાઓએ નોંધાવી હતી. અર્બુદા સેનાના વલણને લઇને બે બેઠકો પર કોકડુ ગુંચવાચું છે. માણસા અને ખેરાલુમાં ચૌધરી પટેલનો પ્રભાવ વધુ છે. માણસામાં પાટીદાર કે ચૌધરીને ટિકિટ આપવી તે પ્રશ્ન છે. માણસામાં OBC મતદારો મોટા પ્રમાણમાં છે. ત્યારે કોંગ્રેસે OBC ઉમેદવારને ટિકિટ આપી છે. ખેરાલુમાં ભૂતકાળમાં ચૌધરી ઉમેદવારો ફાવ્યા હતા. માણસામાંથી ચૌધરી ઉમેદવારને ટિકિટ ન અપાય તો ખેરાલુમાં અપાય તેવી શક્યતા છે. કારણકે માણસા વિધાનસભા બેઠક રાજકીય રીતે સંવેદનશીલ મનાય છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે ભાજપે 182માંથી 178 ઉમેદવારો જાહેર કરી દીધુ છે. આ 178 પૈકી ઓબીસી ઉમેદવારોની સંખ્યા 57 પર પહોંચી છે. તો 43 પાટીદાર ઉમેદવારોને ટિકિટ મળી છે. ક્ષત્રિય-રાજપૂત ઉમેદવારોની સંખ્યા 15 પર પહોંચી છે. તો 13 બ્રાહ્મણ અનાવિલ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. 5 જૈન ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. તો 26 ST ઉમેદવારોને ટિકિટ અપાઈ છે.
ભાજપે ગુજરાત ચૂંટણી માટે સોમવારે ગાધીનગર દક્ષિણ સીટથી અલ્પેશ ઠાકોર સહિત 12 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. અલ્પેશ ઠાકોર 2019 ભાજપ સામેલ થયા છે. તેમણે 2017 માં કોંગ્રેસ ટિકિટ પર જીત મેળવી હતી, પરંતુ 2019 માં પેટા-ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી હારી ગયા હતા.
Published On - 11:06 am, Tue, 15 November 22