ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. વ્યાસ સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા. જોકે આજે મોડી રાત્રે કોંગ્રેસની યાદી જાહેર થઈ અને મોડી રાતે જ તેમના ભાજપને રામ રામના સમાચાર વાયુ વેગે પ્રસર્યા હતા.
થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના સીએમ અને ગુજરાત કૉંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ આશ્ચર્યજનક મુલાકાત બંધબારણે યોજાઇ અને આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી. ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. અને આ વાત માત્ર 6 દિવસમાં જ સાચી ઠરતી લાગે છે..તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસમાંથી સિદ્ધપુર બેઠક પરથી ઉમેદવારી કરી શકે. વ્યાસે આ મુલાકાત બાદ માત્ર એટલું જણાવ્યું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હતા
જયનારાયણ વ્યાસ ભાજપના દિગ્ગજ નેતા હતા તેઓ ભાજપ સરકારમાંમોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે નર્મદા નિગમના ચેરમેનથી માંડીને 2007થી 2012 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા હતા. તેઓ સિદ્ધપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ગત ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પર ભાજપમાંથી લડ્યા હતા, પરંતુ છેલ્લી બે ટર્મથી હારનો સામનો કરી રહ્યા હતા. તેઓ શિક્ષણવિદ, વહીવટકર્તા, મેનેજર અને જાહેર જીવનના કાર્યકર્તા તરીકે વ્યસ્ત છે જોકે તેઓ સરકાર અને સંગઠનની કેટલીક નીતિઓના ટીકાકાર રહ્યા છે