ચૂંટણી પહેલા સુરત ભાજપને ઝટકો લાગ્યો છે. વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસના રાજીનામા બાદ, ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પી વી એસ શર્માએ રાજીનામું આપી દીધુ છે. શર્માએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. શર્મા એક સમયે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અંગત મિત્ર ગણાતા હતા. પરંતુ 2017 ની ચૂંટણીમાં લિંબાયતની ટિકિટ જાહેર કર્યા બાદ બંને પ્રતિસ્પર્ધી થઈ ગયા હતા. મૂળ દક્ષિણ ભારતના એવા શર્માના રાજીનામાથી હાલ ભાજપમાં સન્નાટો છવાયો છે. આ રાજીનામા પહેલા તેમણે એક ગ્રૂપમાં કોમેન્ટ કરી હતી કે ક્યાં સુધી અન્યાય સહન કરીશું ? ત્યારબાદ આજે અચાનક રાજીનામું આપતા ભાજપના કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા છે.
ભાજપના નેતા અને સુરતમાં એક જ્વેલર્સ ની દુકાન સામે નોટબંધી બાદ પીવીએસ શર્માએ ગંભીર આક્ષેપ કર્યા હતા. જોકે આક્ષેપ બાદ તેમની સામે જ કાર્યવાહી થઈ હતી અને તેમને જેલવાસ પણ થયો હતો. દરમિયાન તેઓએ આત્મહત્યાની કોશિશ પણ કરી હતી.. ત્યારબાદ તેઓ રાજકારણમાં ઓછા સક્રિય હતા. જોકે હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ તેઓએ રાજીનામું આપતા અનેક અટકળો થઈ રહી છે. લોકોમાં એવી ચર્ચા છે કે શર્મા લિંબાયત વિધાનસભામાંથી ચૂંટણી લડશે.
ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ પક્ષ પલટાની મોસમ પણ જામી રહી છે અને ખાસ તો કોંગ્રેસના ગઢના કાંકરા ખરી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના દિગ્ગજ ગણાતા ધારાસભ્ય મોહન રાઠવા ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે ત્યારે કોંગ્રેસના વધુ એક સિનિયર ગણાતા નેતા તાલાલાના ધારાસભ્ય ભગા બારડ ભગવો ધારણ કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. ભગા બારડના સમર્થકોએ પણ એ બાબતને સમર્થન આપ્યું છે કે જો ભગા બારડ ભાજપમાં જોડાશે તો તેમના સમર્થકો પણ કેસરિયા કરશે. મોહન સિંહ રાઠવા બાદ ભગા બારડ પણ પક્ષપલટો કરે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.
Published On - 9:01 am, Wed, 9 November 22