
યુપી કેડરના IAS અધિકારી અભિષેક સિંહ સામે ચૂંટણી પંચે આકરી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચ દ્વારા અભિષેક સિંહને ગુજરાત ચૂંટણીમાં જનરલ ઓબ્ઝર્વરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. IAS અધિકારી વિરુદ્ધ આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટિંગની તસવીરો ‘પબ્લિસિટી સ્ટંટ’ તરીકે શેર કરી હતી.
ચૂંટણી પંચે અભિષેક સિંહ દ્વારા સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા ફોટાને ગોપનીયતાનો ભંગ ગણાવ્યો છે. આ નિયમ ભંગને કારણે ચૂંટણી પંચે IAS ઓફિસર અભિષેક સિંહને તાત્કાલિક અસરે ચૂંટણી ફરજમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ બાબતને ચૂંટણી પંચે ખૂબ ગંભીરતાથી લીધી હતી. તુરંત કાર્યવાહી કરતા તેમને ગુજરાત ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર તરીકેની તેમની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણીપંચે અભિષેક સિંહને તાત્કાલિક વિધાનસભા વિસ્તારને છોડવાનો અને પોતાના નોડલ ઓફિસરને રિપોર્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમની જગ્યાએ 2011 બેચના IAS અધિકારી કૃષ્ણ બાજપેયીની હવે બાપુનગર અને અસારવા નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અભિષેક સિંહ ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી છે.તેમણે નેટફ્લિક્સની ફેમસ વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ’ની સીઝન-2માં કામ કર્યું હતું. ઉપરાંત કેટલાક પ્રાઇવેટ આલબમ સોંગ માટે પણ અભિનય કરેલો છે.
વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈઆદર્શ આચાર સંહિતા અમલમાં છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી સંબંધિત કામગીરી માટે ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે મતદારોમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ઉમેદવાર કે સામાન્ય જનતા ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે પૂર્વ નિર્ધારિત સમય મેળવી વિવિધ વિધાનસભા વિસ્તાર પ્રમાણે પોતાની રજુઆત કરી શકશે. તે ઉપરાંત 33 જિલ્લાના નિરિક્ષકની પણ નિમણૂક કરવામાં આવી છે.
ચૂંટણીપંચ આદર્શ આચાર સંહિતાના અમલ માટે ખૂબ સતર્ક છે અને આ માટે દરેક જિલ્લામાં પોલીસથી માંડીને નિરિક્ષકો ચેક પોસ્ટ ખાતે નાણાકીય હેરફેર અંગે પણ બાજનજર રાખી રહ્યા છે.
Published On - 7:54 pm, Fri, 18 November 22