Gujarat Election 2022: નારાજ મધુ શ્રીવાસ્તવે કાર્યકરોની બનાવી કમિટી, અપક્ષ તરીકે ચૂંટણી લડે તેવી શકયતા

મધુ શ્રીવાસ્તવે બુધવારે જ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ હતુ કે વાઘોડિયા બેઠક પરથી તે ઉમેદવારી નહી કરે. આ અગાઉ તેમણે તેઓ નહીં પણ તેમના પત્ની ચૂંટણી લડશે તેવું જણાવ્યુ હતું.

Gujarat Election 2022: નારાજ મધુ શ્રીવાસ્તવે કાર્યકરોની બનાવી કમિટી, અપક્ષ તરીકે ચૂંટણી લડે તેવી શકયતા
બળવાખોર મધુ શ્રીવાસ્તવની હાર
Image Credit source: ફાઇલ તસવીર
| Edited By: | Updated on: Nov 12, 2022 | 2:11 PM

 ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022: વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ ભાજપે કાપી છે. આથી નારાજ મધુ શ્રીવાસ્તવે ચૂંટણીને લઈને કાર્યકરોની કમિટી બનાવી છે તેમણે કહ્યું હતું કે મારા કાર્યકરોની કમિટી નક્કી કરશે કે હવે આગળ અમારે શું કરવું. ચૂંટણી લડવી કે કોઈ રાજકીય પક્ષને સપોર્ટ કરવો તે અંગે નિર્ણય આ કમિટી જ કરશે. તેમણે કહ્યું હતું કે મારા કાર્યકરો કહેશે તો ચૂંટણી લડીશ અને ના કહેશે તો નહીં. ઉલ્લેખનીય છે કે ભાજપે વાઘોડિયા બેઠક પરથી આ વખતે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી મનિષા વકીલને મેદાને ઉતાર્યા છે. આ પહેલા મધુ શ્રીવાસ્તવે બુધવારે જ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ હતુ કે વાઘોડિયા બેઠક પરથી તે ઉમેદવારી નહી કરે. આ અગાઉ તેમણે તેઓ નહીં પણ તેમના પત્ની ચૂંટણી લડશે તેવું જણાવ્યુ હતુ.

ગુજરાત ઇલેકશન 2022:  મધુ શ્રીવાસ્તવના સ્થાને મનીષા વકીલ મેદાનમાં

શ્રીવાસ્તવે TV9 ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન બે દિવસ અગાઉ જણાવ્યુ કે કાર્યકરોની લાગણી છે કે મધુભાઈ તમે આગળ વધો, તન-મન-ધનથી તમને જીતાડીશું. અપક્ષ તરીકે લડો તો અપક્ષ તરીકે જે પાર્ટી પરથી લડો તે પાર્ટીથી અમે તમને જીતાડીશુ. વધુમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ કે કાર્યકર્તાઓએ નિર્ણય લીધો છે કે કેવી રીતે ચૂંટણી લડવી, અપક્ષ લડવુ કે કોઈ પાર્ટી સાથે લડવું તે અંગે નિર્ણય કરવામાં આવશે.

વડોદરાની પાદરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહેલા દિનેશ પટેલની ટિકિટ કપાતા અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિનેશ પટેલ જે દિનુમામાથી જાણીતા છે, તેઓ બરોડા ચેરીના ચેરમેન છે અને ભાજપે તેમને પાદરા બેઠક પરથી ટિકિટ ન આપતા તેમણે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.

ગુજરાત ઇલેકશન 2022 : ભાજપમાં વિરોધનો વંટોળ

મહેસાણા જિલ્લાના બેચરાજી, વિજાપુર અને વિસનગરમાં ભાજપમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. વિજાપુર અને વિસનગરમાં ચાલુ ધારાસભ્યોને રીપિટ કરતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરોએ વિજાપુર અને વિસનગરમાં નવા ચહેરાને તક આપવા માગ કરી છે. ઋષિકેશ પટેલને સતત ચોથી વખત રિપીટ કરાતા ભાજપ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે વિસનગરમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે વિરોધ દર્શાવ્યો છે. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલે વિરોધ દર્શાવ્યો છે. બીજી તરફ વિસનગરમાં અપક્ષ ઉમેદવારી કરવાની જશુ પટેલે જાહેરાત કરી છે.