ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ભાજપે ત્રણ દિવસ દરમિયાન સેન્સ લેવાની મોટા ભાગની પ્રક્રિયા પૂર્ણ કરી છે અને ખાસ કરીને અમદાવાદમાં ભાજપ શહેરની 16 બેઠકોનું સાંજે મનોમંથન કરવામાં આવશે. સાંજના પાંચ વાગ્યે અમદાવાદ શહેર ભાજપની સંકલન સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા તેમજ સહ પ્રભારી ધ્રમેન્દ્ર શાહ પણ ઉપસ્થિત રહેશે. સંકલન સમિતિની આ બેઠકમાં નિરીક્ષકોના અધ્યક્ષ સ્થાને નામો અંગે ચર્ચા પણ કરવામાં આવશે. તેમજ અમદાવાદ શહેર ભાજપના વિવિધ બાયોડેટાનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે અને મૂલ્યાંકન બાદ પ્રત્યેક બેઠકના 10 નામોની છણાવટ કરવામાં આવશે. ત્યાર બાદ વિધાનસભા દીઠ 10 નામોની છણાવટ બાદ સંકલન સમિતિના નામને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીતી શકે તેવા ઉમેદવાર શોધવા કમર કસી છે. બીજા દિવસે અમદાવાદની 8 વિધાનસભા બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે બીજા દિવસે એલિસબ્રિજ વિધાનસભા બેઠક અને બાપુનગર સહિતની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
શહેરની હાઈપ્રોફાઈલ બેઠક એવી એલિસબ્રિજ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સંજય મહેતા પાલડી વોર્ડના કોર્પોરેટર પ્રિતેશ મહેતા તેમજ ચૈતન્ય શંભુ મહારાજ સહિતના હાઈ પ્રોફાઈલ નેતાએ પોતાની દાવેદારી નોંધાવી છે. તો બીજીબાજુ શહેરની પ્રબુદ્ધ બેઠકમાં જેની ગણના થાય છે તેવી મણિનગર બેઠક માટે સીટીંગ MLA સુરેશ પટેલ અને AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે પણ દાવેદારી કરી છે. આ સિવાય મણિનગર બેઠક માટે દશરથ મુખી પૂર્વ કાઉન્સિલર દાવેદારી માટે પહોંચ્યા હતાં. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશિષ અમીન પણ મણિનગર બેઠક ઉપરથી દાવેદારી કરવા પહોંચ્યા હતા.
Published On - 11:35 am, Sat, 29 October 22