ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશ ની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. જો ગુજરાત વિધાનસભા 2017 ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જો કે તેની બાદ પેટાચૂંટણીમાં જીતને કારણે ભાજપની બેઠકોથી વધીને 112 પર પહોંચી. તો બીજી બાજુ કોંગ્રેસને પક્ષપલટાને કારણે મોટુ નુકસાન થયુ, હાલ 65 બેઠકો કોંગ્રેસ પક્ષ પાસે છે. ગુજરાતમાં AAP ની એન્ટ્રીથી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે, ત્યારે નેતાઓની સભામાં ઉમટતા મતદારોના હાથ તેમના પક્ષના EVM બટન પર પહોંચશે કે કેમ તે જોવુ રહ્યું.
Gujarat Election 2022 LIVE : ગોપાલ ઇટાલિયાના વતન બોટાદમાં આપના ઉમેદવારને લઈ વિરોધ થયો છે. આપ દ્વારા આજે 107 બેઠક માટેના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જાહેરાત બાદ જિલ્લા સંગઠનમાં કેટલાક નામ અંગે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો.
Gujarat Election 2022 LIVE : મહેસાણા ખાતે અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું હતું કે મારા જન્મદિવસે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું તે માટે હું સૌનો આભારી છું તેમણે કહ્યું હતું કે વિધાનસભાની માંગણીની ટિકીટ માટે અમે કોઈ માંગણી નથી કરી. સાથે જ તેમણે સ્નેહમિલનમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે આ વખતે ભાજપને રેકોર્ડબ્રેક બેઠકો મળશે.
Gujarat Election 2022 LIVE : બોટાદમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસે શહેરમાં ફલેગ માર્ચ યોજી હતી. આ કાફલામાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સે કરી ફલેગ માર્ચમાં જોડાયા હતા અને જ્યોતિગ્રામ સર્કલ, નવ નાળા, ટાવર રોડ, નાગલપર દરવાજા, પાળીયાદ રોડ સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
Gujarat Election 2022 LIVE : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી પહોંચ્યા છે અને ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મહત્વની બેઠક ચાલી રહી છે.
9 નવેમ્બરે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલાં ટિકિટના વિતરણ પર વિચારણાનો અંતિમ રાઉન્ડ છે . નોંધનીય છે કે આવતીકાલે ગુજરાત ભાજપ કોર કમિટીની બેઠક મળવાની છે.
Gujarat Election 2022 LIVE : સાવલી ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાઈ હતી. તેમજ પ્રદેશના વિવિધ હોદ્દેદારોની હાજરીમાં સભા યોજાઈ હતી આ સભામાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Gujarat Election 2022 LIVE : અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સભ્ય કોંગ્રેસમાં જોડાયા. વિરમગામ વિધાનસભા વિસ્તારના અગ્રણી મનુજી ઠાકોર જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા. મનુજી ઠાકોરે કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો . મનુજી ઠાકોર અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા ભાજપથી મોહભંગ થતા કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે.
Gujarat Election 2022 LIVE : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સંસ્થાઓની આવતીકાલે મહત્વની બેઠક મળવાની છે. અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે 3 દિગ્ગજ સંસ્થાની બેઠક થશે. જેમાં ઉમિયાધામ ઊંઝા, ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસર – આ ત્રણેય સંસ્થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. ઉમિયાધામ ઊંઝાના પ્રમુખ બાબુ જમના પટેલ રહેશે ઉપસ્થિતિ તો સૌરાષ્ટ્રથી ઉમિયાધામના જેરામ પટેલ અને ખોડલધામના નરેશ પટેલ આવતીકાલે બપોરે 12 વાગ્યે આ ઉમિયા કેમ્પસ સોલા ખાતે આ બેઠક મળશે ઊંઝાના ઉપપ્રમુખ રમેશ દૂધવાળા અને સી. કે. પટેલ પણ હાજર રહેશે
Gujarat Election 2022 LIVE : પ્રથમ તબક્કાની ચૂંટણી માટે વિવિધ ઉમેદવારો દ્વારા ફોર્મ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લાની 3 બેઠકો માટે 48 ફોર્મ ઉપડયા હતા. મોરબીની માળિયા બેઠક પર 16 ફોર્મ ઉપડ્યા હતા. તો વાંકાનેર બેઠક પરથી આજે 17 ફોર્મ ઉપડ્યા હતા. ટંકારા બેઠક પરથી આજે 15 ફોર્મ ઉપડ્યા હતા તો કોંગ્રેસમાંથી ધારાસભ્ય મોહમ્મહ જાવેદ પીરજાદા અને તેમના ભાઈ ઈરફાન પીરજાદાએ ફોર્મ ઉપાડ્યું હતું. કોંગ્રેસમાંથી ધારાસભ્ય લલિત કગથરા અને આપના ઉમેદવાર સંજય ભટાસણાએ ફોર્મ ઉપાડ્યા હતા.
Gujarat Election 2022 LIVE : ગાંધીનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત , ટીમોને ચેકિંગ દરમ્યાન કોઇપણ વ્યક્તિ પાસેથી 50,000 કે તેથી વધુ રકમ મળશે અને યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહિ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
Gujarat Election 2022 LIVE : ચૂંટણી અંગેની ચર્ચામાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપ આ ચૂંટણી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જ લડશે અને નવી સરકારમાં પણ CM ભૂપેન્દ્ર પટેલ રહેશે. તેમણે ડ્રગ્સ મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે ડ્રગ્સને આવતું રોકવું અમારી ફરજ છે જો કોંગ્રેસને વાંધો હોય તો આ મુદ્દો જનતા સમક્ષ લઇ જાય.
Gujarat Election 2022 LIVE : કેન્દ્રીય ગૃબહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજા પક્ષનું કોઈ સ્થાન જ નથી. આમાં ચીમનભાઇથી માંડીને કેશુભાઈ પણ નિષ્ફળ રહ્યા છે. ઉપરાંત તેમણે જયનારાયણ વ્યાસના રાજીનામા અંગે જણાવ્યું હતું કે કોઈના આવવા-જવાથી હાર-જીતનો ફરક નથી પડતો તો કોમન સિવિલ કોડ અંગે જણાવ્યું હતું કે કોમન સિવિલ કોડને ચૂંટણી લાથે કંઈ લેવા દેવા નથી. જ્યારે અમે 370ની કલમ, ટ્રિપલ તલાકનો કાયદો લાવ્યા તે વખતે ચૂંટણી નહોતી.
Gujarat Election 2022 LIVE : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટીવી9 સાથેની વાતચીતમાં ગુજરાતની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ જણાવ્યું હતું કે AAP ગુજરાતમાં મજબૂત વિપક્ષ નથી અને ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્થાન નથી મળતું
વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરવા આક્રમક પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. ત્યારે ગુજરાતના નાગરિકોને જાગૃત કરવા હવે કોંગ્રેસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કોંગ્રેસે વિધાનસભા દીઠ જાહેર જગ્યાઓ પર નુક્કડ નાટકો શરૂ કર્યા છે. જેના માધ્યમથી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર મતદાતાઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના શાસનમાં થયેલા કામોને પણ નુક્કડ નાટક થકી પ્રજા સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નુક્કડ નાટકમાં LPG સિલિન્ડરના ભાવ, તેલ તેમજ પેટ્રોલ-ડીઝળ સહિતની ચીજવસ્તુઓના જૂના ભાવ અને હાલના ભાવની સરખામણી કરી ભાજપના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ચૂંટણી માહોલ વચ્ચે હવે જ્ઞાતિવાદી રાજકારણની પણ શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં વિવિધ સમાજ દ્વારા ટિકિટની માગણી કરવામાં આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર સમાજ માટે 10 ટિકિટની માગ અગ્રણી જેરામ પટેલે કરી છે. જેરામ પટેલે ભાજપ,કોંગ્રેસ અને AAP પાસે ટિકિટની માગ કરી છે. જેમાં રાજકોટ પશ્ચિમ,માણાવદર,ધોરાજી,મોરબી સહિતની બેઠકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે જેરામ પટેલે રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણી સામે વાંધો ન હોવાનું જણાવ્યું હતુ.
વિરમગામથી ભાજપ નેતા હાર્દિક પટેલને ટિકિટ મળે તેવી શક્યતા છે. હાર્દિક પટેલે તાજેતરમાં અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભાજપમાં જોડાયા બાદ અમિત શાહ સાથે તેણે પ્રથમ મુલાકાત કરી છે. હાર્દિક અને અમિત શાહની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. ત્યારે વિરમગામ બેઠક માટે હાર્દિક પટેલ અભિયાન ચલાવી રહ્યો છે. ભાજપની ગૌરવયાત્રામાં પણ હાર્દિકની હાજરી જોવા મળી હતી. આવતીકાલે વિરમગામ માટે નિરીક્ષકો સેન્સ લેવાના છે. સેન્સ પ્રક્રિયા પહેલા હાર્દિકની અમિત શાહ સાથે બેઠક મળી છે.
સુરતના બારડોલીમાં આંગડિયા પેઢીના રૂ.20 લાખની લૂંટના કેસમાં વધુ એક વિગત સામે આવી છે. દિલ્લીથી અશોક ગર્ગ નામનો વ્યક્તિ આંગડિયા પેઢીમાં પૈસા મોકલાવતો હતો. આ પૈસા આમ આદમી પાર્ટીના હોવાની આશંકા સેવાઈ છે. અમદાવાદની છગનલાલ આંગડિયા પેઢીમાં દિલ્લીથી એક જ વ્યક્તિના નામે 108 એન્ટ્રી આવી સામે છે. દિલ્લીના અશોક ગર્ગે અત્યાર સુધી રૂપિયા 9 કરોડ આંગડિયા મારફતે અલગ અલગ શહેરમાં મોકલ્યા છે. સૌરવના નામે માત્ર બે વખત કુલ 21 લાખ રુપિયા આવ્યા હતા. આંગડિયા પેઢીના હવાલાને મારફતે AAPના પૈસા આવતા હોવાની આશંકા સેવાઈ છે અને આયકર વિભાગની તપાસ બાદ તમામ હકીકત સામે આવશે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં AAPનુ સ્થાનિક સંગઠન જાહેર થયેલા ઉમેદવારથી નારાજ થયુ છે. AAPમાંથી વાઘજી પટેલને ધ્રાંગધ્રાથી ઉમેદવાર તરીકે જાહેર કરાતા હોદ્દેદારોએ રાજીનામા ધર્યા છે. ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યના 15 હોદ્દેદારોએ AAPમાંથી રાજીનામુ આપ્યું છે. AAPએ જાહેર કરેલા ઉમેદવાર વાઘજી પટેલની વાત કરીએ તો તેઓ ભાજપમાંથી રાજીનામુ આપીને AAPમાં જોડાયા છે અને આ વખતેની ભાજપની સેન્સ પ્રક્રિયામાં પણ તેમણે દાવેદારી નોંધાવી છે. ત્યારે પક્ષપલટાથી જાણીતા વાઘજી પટેલને ભાજપમાંથી ટિકિટ મળે તો ફરી પક્ષપલટો કરે તો નવાઈ નથી. એવામાં AAP સ્થાનિક સંગઠને ઉમેદવારને બદલાવવા રજૂઆત કરી છે. જો તેમની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો પાર્ટીમાંથી નિષ્ક્રીય થવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
સુરતમાં જાહેર મંચ પરથી નૌતમ સ્વામીએ ભાજપને મત આપવા અપીલ કરી છે. PM મોદીના નૌતમ સ્વામીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ચૂંટણીમાં હિન્દુત્વના નામે ભાજપને મત આપો. PM મોદીએ અનેક યાત્રાધામોનો વિકાસ કર્યો છે. તેમણે જણાવ્યુ કે આવનારી શતાબ્દી હિન્દુઓની છે. નૌતમ સ્વામીની આ અપીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે કે નૌતમ સ્વામી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફુંકાઇ ગયુ છે. ત્યારે હવે દરેક રાજકીય પક્ષ તેના ઉમેદવારની પસંદગીમાં લાગી ગઇ છે. ભાજપ દ્વારા પણ હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. હવે આગામી 9-10 નવેમ્બરે ભાજપના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન થશે. 9 નવેમ્બરે સાંજે દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે. જેમાં ઉમેદવારોના નામ પણ અંતિમ મહોર લગાવવામાં આવશે.
સુરો રેલાવતા ગાયક કલાકાર હવે તમણે સ્ટેજ ઉપરથી ભાષણ આપતા જોવા મળશે. જી..હા ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજ વિધાનસભાની ચૂંટણી લડશે. જીગ્નેશ કવિરાજ ઉતર ગુજરાતના મહેસાણાના ખેરાલુથી વિધાનસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. જીગ્નેશ કવિરાજે કહ્યું, ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ અપક્ષ તરીકે હું દાવેદારી કરીશ. સ્થાનિક લોકોના પ્રશ્નોને ધ્યાને લઈને ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે. વધુમાં કહ્યું હું કોઈ પક્ષનો માણસ નથી અને મેં કોઈનો સંપર્ક પણ કર્યો નથી. પરંતુ ખેરાલુમાં સ્થાનિક પ્રશ્નોને લઈ ચૂંટણી લડીશ અને હજુ ઉમેદવારી નોંધાવવા માટેની કોઈ તારીખ નક્કી કરી નથી.
Singer #JigneshKaviraj to contest #GujaratElections as an independent candidate from #Kheralu#Gujarat #TV9News pic.twitter.com/GZWVjuWsiy
— Tv9 Gujarati (@tv9gujarati) November 7, 2022
કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વિધાનસભા ચૂંટણીને લઈ મોટુ નિવેદન આપ્યુ છે. આગામી વિધાનસભાની ચૂંટણી નહિ લડવાની તેમણે જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, પાર્ટીમાં રહીને AAP અને ભાજપને હરાવવાનું કામ કરીશ. તમને જણાવી દઈએ કે, રાજકોટની બે બેઠકમાંકોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇન્દ્રનીલનું નામ ચર્ચામાં હતુ.
સુપ્રીમના આર્થિક આધારે અનામતના મુદ્દે આપેલા ચુકાદા અંગે અમિત ચાવડાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હાલની 49 ટકા અનામત વ્યવસ્થામાં ફેરફાર કર્યા વગર સુવર્ણ પક્ષને અનામત મળે તેમાં કૉંગ્રેસને કોઈ વાંધો નથી. સરકારે આ અંગે બજેટની પણ ફાળવણી કરવી જોઈએ.
સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર સમાજ દ્વારા 10 ટિકિટની માગ કરવામાં આવી છે. પાટીદાર સમાજના અગ્રણી જેરામ પટેલ દ્વારા ભાજપ,કોંગ્રેસ અને AAP પાસે ટિકિટની માગ કરાઈ છે. રાજકોટ પશ્ચિમ, માણાવદર, ધોરાજી, મોરબી સહિતની બેઠક માટે માગ કરવામાં આવી છે. જેરામ પટેલે કહ્યું કે, દેશમાં તમામ જગ્યાએ જ્ઞાતિવાદનું રાજકારણ ચાલે છે. જ્ઞાતિની બહુમતી હોય ત્યાં ટિકિટની માગ કરી છે. તો સાથે તેણે જણાવ્યું કે રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણી સામે વાંધો નથી.
ભાજપ દ્વારા ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યુ છે. એટલે કે ક્યાંકને કયાંક એમ કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ગુજરાતીઓ દ્વારા જ ગુજરાત કેવી રીતે આગળ વધારવામાં આવ્યુ છે. કેવી રીતે ગુજરાતની ધરોહરને સાચવવામાં આવી છે. કઇ રીતે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષમાં ભાજપ સરકાર દ્વારા કામ કરવામાં આવ્યુ છે. નર્મદાના પાણીની વાત હોય કે પછી હોનારત બેઠુ થયેલુ ગુજરાત હોય કે સ્મોલ મીડિયમ સ્કેલની કંપનીઓની વાત હોય કે પછી ગુજરાતના ઉદ્યોગોની વાત હોય આ તમામમાં ગુજરાતને કેવી રીતે આગળ વધારવામાં આવ્યુ છે. પ્રાથમિક જરુરિયાતો હોય કે શિક્ષણની વાત હોય, જનતાના સ્વાસ્થ્યની વાત હોય આ તમામ બાબતમાં સરકાર દ્વારા કરાયેલા કામ હોય તે તમામ મુદ્દા આ કેમ્પેઇનમાં આવરી લેવામાં આવ્યા છે.
EWS અનામતના ચૂકાદાને AAPએ આવકાર્યો છે. આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, અમે સુપ્રિમ કોર્ટના ચૂકાદાને આવકારીએ છીએ. આ ચૂકાદાની કોઈ રાજકીય અસર નહીં થાય, અને આ ચૂકાદાથી ભાજપવાળાને પણ કોઈ ફાયદો નહીં થાય.
રાજકોટની હાઈ પ્રોફાઈલ ગોંડલ બેઠક આજકાલ ખૂબ ચર્ચામાં છે. રાજદિપસિંહ અને જ્યોતિરાદિત્યસિંહ વચ્ચે ટિકિટને લઈ ખેંચતાણ જોવા મળી રહી છે. ઓનલાઈન સર્વેમાં રીબડાના રાજદિપસિંહ જાડેજા હાલ આગળ જોવા મળી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ પોરબંદર તંત્ર દ્વારા હાલ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, પોરબંદર જિલ્લાની બે બેઠકો પર ચૂંટણી યોજાશે. આ બંને બેઠક પર 4,91,043 મતદારો છે. જેમાં પોરબંદર બેઠક પર 255 અને કુતિયાણા બેઠક પર 239 મતદાન મથક છે. તો 177 મતદાન મથકો પરથી વેબ કાસ્ટિંગ થશે.
જેતપુરમાં ઠાકોર સમાજની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્રમાં ઠાકોર સમાજને ટિકિટ આપવા માંગ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા ઠાકોરના પ્રમુખે સમાજને ટિકિટ આપવા સરકાર પર રાજકીય દબાણ ઉભુ કર્યું છે.
અમદાવાદમાં પરિવર્તન સંકલ્પ યાત્રા સાથે કોંગ્રેસે પ્રચાર શરૂ કર્યો છે. જીવરાજ પાર્ક ચાર રસ્તાથી અમદાવાદમાં યાત્રાની શરૂઆત કરી છે. જે અમદાવાદના 14 વિધાનસભા વિસ્તારમાં ફરશે. પરિવર્તન સંકલ્પ યાત્રામાં અમદાવાદ મનપાના વિપક્ષ નેતા શહેજાદ પઠાણે સત્તાપક્ષ પર પ્રહાર કર્યા હતા. અને કહ્યુ કે, “લોકોને પરિવર્તન જોઈએ છે, માટે ભાજપે પોતાની B ટીમ એવી AAP ને ઉતારી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા માટે આમ આદમી પાર્ટી સજ્જ બની ગઇ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટી દ્વારા 11 મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં આમ આદમી પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર,મોડાસા, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ, વરાછા રોડ સહિતની બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં લલિત વસોયાનો ભાજપ પ્રેમ ફરી ઉભરાયો છે. લલિત વસોયાએ મંચ પરથી ભાજપને મત આપવા અપીલ કરી છે. ભાજપના નેતાઓ સાથે રહીને લલીત વસોયા ભાજપ તરફી પ્રેમને લઈને અગાઉ ચર્ચામાં રહી ચૂક્યા છે. ત્યારે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં લલીત વસોયાએ કહ્યું કે, “AAPને મત આપવા કરતા ભાજપને મત આપજો…”
આજે જેતપુરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે. સાંજે 5: 30 વાગ્યે આ રોડ શો શરૂ થશે. તો બીજી તરફ પંજાબના CM ભગવંત માન છોટાઉદ્દેપુરમાં પ્રચાર કરશે.
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા આજે અમદાવાદ પહોંચી છે. જીવરાજપાર્ક ચાર રસ્તાથી અમદાવાદમાં યાત્રાની શરૂઆત થઈ. મહત્વનું છે કે, અમદાવાદના 14 વિધાનસભા વિસ્તારમાં આ યાત્રા ફરશે. આ યાત્રામાં નુક્કડ સભા અને જાહેર સભા પણ યોજાશે.
રાજકોટની ગોંડલ બેઠક પરથી ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા ગોંડલથી ચૂંટણી લડવાના નથી. આ નિવેદન સાંસદ રમેશ ધડુકે આપ્યું છે. ગોંડલની બેઠક પર બે ક્ષત્રિય જૂથને સમાધાન કરીને કોઈ પાટીદારને ટિકિટ આપવાની અટકળો ચાલતી હતી. જેના પર રમેશ ધડુકે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ગોંડલ બેઠક પર ગીતાબાને રિપિટ કરાય તે માટે અમારા પ્રયાસો છે. અને બંને ક્ષત્રિય જૂથ વચ્ચે સમાધાનના પ્રયત્નો ચાલી રહ્યા છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ રાજકોટથી ટિકિટ માગી છે. પાર્ટી રાજકોટથી ટિકિટ આપશે તો ત્યાંથી રમેશ ટિલાળા લડશે.
લોક ગાયક જીગ્નેશ કવિરાજ ખેરાલુથી ચૂંટણી લડી શકે છે, મહત્વનું છે કે લોકગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટનું મૂળ વતન ખેરાલુ છે.
એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણી માથે છે અને બીજી તરફ પક્ષપલટાની મોસમ પણ પૂરજોશમાં જોવા મળી રહી છે. દાંતા વિસ્તારમાં આદિવાસી આગ્રણી અને નિવૃત DYSP મહેન્દ્ર બુંબડિયા અને નિવૃત્ત જિલ્લા રોજગાર અધિકારી વાલજી બુંબડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. નિવૃત્ત અધિકારીઓ 15 કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું છે.
વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવના નામ સામે વિરોધ ઉભો થયો છે, ત્યારે ભાજપે સાંકરદામાં આવેલા ફાર્મ હાઉસમાં બંધ બારણે બેઠક યોજી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ભાજપ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ અગ્રણી બિલ્ડરના ફાર્મ હાઉસમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. પરષોત્તમ રૂપાલાએ જિલ્લાના આગેવાનો અને હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક યોજી હતી અને મધુ શ્રીવાસ્તવના નામની ચર્ચા બાદ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મહત્વનું છે કે ગઇકાલે કમલમ ખાતે મળેલી બેઠકમાં વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપવા સામે વિરોધ ઉભો થયો હતો. એક મહિલા અગ્રણીએ અન્ય ઉમેદવારને ટિકિટ આપવા પ્રસ્તાવ મુક્યો હતો.
આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં 10 ઉમેદવાર યાદી જાહેર કરી ચૂકી છે, આજે AAP વધુ એક ઉમેદવાર યાદી જાહેર કરશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરીયા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી આ યાદી જાહેર કરશે. મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીની સુરતમાં સવારે 11:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજાશે.
Published On - 9:45 am, Mon, 7 November 22