ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાશે. હવે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અને જાહેરાતની જબરદસ્ત મેરેથોન મીટિંગો શરૂ થશે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં ઉમેદવારો નક્કી કરાશે. જેમાં ગાંધીનગરમાં કમલમ ખાતે આવતીકાલે 58 બેઠકો ઉપર મંથન થશે. જેમાં ગાંધીનગરની 5, મહેસાણા 7 અમરેલી 5 અને બોટાદ 2 બેઠકો પર મંથન કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાની 5, ભાવનગરની 7, ખેડા 6 બેઠકો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પંચમહાલ 5, નવસારી 4, ભરૂચ 5, જામનગર 5 બેઠકો પર મંથન થશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી મતદાન યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામ સાથે જાહેર થશે. ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે.પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે.પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે અને 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મતદાન યોજાશે.
ગુજરાતમાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે.બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે.જેમાં 18 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મતદાન યોજાશે.
ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠક છે.જેમાં 40 બેઠક અનામત છે. 13 બેઠક અનુસૂચિત જાતિ માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ છે.2017માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવીને સરકાર બનાવી હતી.2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.
આધુનિક સમયમાં ચૂંટણી દરમિયાન મોટા પાયે સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે ત્યારે સોશ્યિલ મીડિયા પર ચૂંટણીપંચ બાજનજર રાખશે. આ માધ્યમનું મોનિટરિંગ કરવા માટે ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે ગુજરાતના દરેક જિલ્લામાં ચૂંટણી પંચની પોતાની એક ટીમ રાજકીય પક્ષોના સોશિયલ મીડિયા પર નજર રાખશે.
ચૂંટણી પંચ ફેક ન્યૂઝ, અફવા તેમજ શાંતિ ભંગ કરનારા સમાચારો પર ખાસ નજર રાખશે. જો તેમને એવું લાગશે કે સોશિયલ મીડિયા પરનું આ કન્ટેન્ટ વાંધાનજક છે તો તેના માટે ઈન્ડિયન પીનલ કોડની કલમ મુજબ કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે. સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સર્કલ ઓફિસર પાસે પણ પોતાની ટીમ હશે અને કાયદો ભંગ કરનારા સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. પ્રચાર દરમિયાન જો આચાર સંહિતાનો ભંગ કરવામાં આવશે તો તેની સામે આઈપીસી અને આઈટી એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે. જો કોઈ વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હશે કે ઉશ્કેરણીજનક પોસ્ટ કરવામાં આવી હશે તો તેની સામે પોલીસની કાર્યવાહી પણ કરાશે.
નોંધ : તમને આ સમાચાર કેવા લાગ્યા અને તેને લઈને શું કહેવા માગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો.
Published On - 7:16 pm, Thu, 3 November 22