
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે ચૂંટણી ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ 14 નવેમ્બર છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે 17 નવેમ્બર છેલ્લી તારીખ છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. તે પહેલા ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભામાં રેલી યોજશે. આપને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ફોર્મ ભરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહી શકે છે અને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘટાન અમિત શાહના હસ્તે કરવામાં આવી શકે છે. તેની સાથે જ ઘાટલોડિયામાં ગૃહપ્રધાન અમિત શાહની જનસભાનું પણ આયોજન કરવામાં આવી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત મુલાકાતે આવવાના છે. અગાઉ ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી વલસાડના નાનપોંઢા આવ્યા હતા. જ્યાં તેમણે સભા સંબોધન દરમિયાન જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપને મારી પાસે પ્રચારનો જેટલો સમય માગવો હોય તેટલો મારે આપવો પડે. હું ગુજરાતમાં પ્રચાર માટે ભાજપ જેટલો સમય માગશે તેટલો આપીશ. પોતે આપેલા વચન પ્રમાણે જ વડાપ્રધાન મોદી આગામી દિવસોમાં ગુજરાતમાં એક પછી એક પ્રચાર રેલીઓ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં 25 જેટલી રેલી ગુજરાતમાં કરવાના છે.
ભારતના નિર્વાચન આયોગે વિધાનસભા બેઠકોના પ્રત્યેક ઉમેદવાર માટે રૂ.40 લાખના મહત્તમ ચૂંટણી ખર્ચની સીમા બાંધી છે. તેના અનુસંધાને આ ખર્ચ નિરીક્ષણની કામગીરી કરવામાં આવે છે. દર વખતે ચૂંટણી પ્રચાર પાછળ અઢળક નાણાં લોકો ખર્ચ કરતા હોય છે. જેને જોતા તંત્ર દ્વારા ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનું રજીસ્ટર પણ બનાવવાનું રહેશે. રોજે રોજનો ખર્ચ પણ લખવાનો હોય છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કરાય છે. સભા-મંડપ, ફર્નિચર, વાહન ભાડા, પોસ્ટરનાં તેમજ પ્રચાર સાહિત્યનાં, પ્રિન્ટીંગ, સાઉન્ડ સીસ્ટમ, હોટલ, ભોજનમાં ખર્ચ કરવામાં આવતો હોય છે. જેમા ગોટાળા ન થાય માટે ખર્ચ ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે.
Published On - 6:34 pm, Sat, 12 November 22