ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : આજે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ સાંજે 5 વાગ્યે શાંત થઇ જવાના છે. ત્યારે છેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. આજે નેતાથી લઇને અભિનેતા ભાજપ માટે ઝંઝાવાતી પ્રચાર કરશે. એક તરફ ભાજપના દિગ્ગજ નેતાઓ સત્તા કાયમી રાખવા ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે, તો 27 વર્ષથી શાસનથી અળગી રહેલી કોંગ્રેસ પણ એડીથી લઈને ચોટી સુધીનું જોર લગાવી રહી છે. આ તરફ આમ આદમી પાર્ટી પણ પરિવર્તની આશથી પ્રચંડ પ્રચાર કરી રહી છે. આજે ભાજપના પ્રચંડ પ્રચારની શરૂઆત CM ભૂપેન્દ્ર પટેલના ચેનપુર ગામના રોડ શોથી થઇ છે. અમદાવાદમાં ભુપેન્દ્ર પટેલના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.
અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલનો પ્રચારના અંતિમ દિવસે ભવ્ય રોડ-શો આયોજિત કરવામાં આવ્યો છે. ચેનપુર ગામથી CM ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો શરુ થયો. આ રોડ શો ઓગણજ ગામ સુધી યોજવામાં આવ્યો છે. ભવ્ય રોડ શોમાં સીએમે ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યુ. રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો રોડમાં શોમાં હાજર રહ્યાં. CM ભૂપેન્દ્ર પટેલનું રોડ-શોમાં ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. એટલુ જ નહીં રોડ શો દરમિયાન ભુપેન્દ્ર પટેલે લોકો સાથે હાથ મીલાવ્યો હતો.
CMના રોડ શો પછી દિવસભર યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, હર્ષ સંઘવી, પરષોત્તમ રૂપાલા અભિનેતા મનોજ જોષી અને ફિરોજ ઈરાની રોડ શો કરશે. જાહરે સભા કરી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કરશે. યોગી આદિત્યનાથ ધોળકા, ખેડા, ખંભાતમાં પ્રચંડ સભા સંબોધશે. તો સ્મૃતિ ઈરાની મેઘરજ અને સિદ્ધપુરમાં રોડ શો કરશે. પરષોત્તમ રૂપાલા ધાનેરા, કવાંટ, બોરસદમાં જંગી સભા યોજશે તો હર્ષ સંઘવી કલોલમાં રોડ શો કરશે. આ સાથે અભિનેતા મનોજ જોશી અને ફિરોજ ઈરાની અનુક્રમે નિકોલ અને સાબરકાંઠામાં રોડ શો યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે. સત્તાવાર આંકડા અનુસાર 89 બેઠકો પર 63.14 ટકા મતદાન થયુ છે. જેમાં નર્મદામાં સૌથી વધુ 78.24 ટકા મતદાન થયુ છે. તો અમરેલી અને બોટાદમાં સૌથી ઓછુ 57 ટકા મતદાન નોંધાયુ છે. 788 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે. તમામ ઉમેદવારોના ભાવીનો ફેંસલો 8 ડિસેમ્બરે થશે. જો કે ઓછા મતદાનને પગલે હાલ રાજકીય પક્ષોની ચિંતા વધી છે.
Published On - 10:02 am, Sat, 3 December 22