Gujarat Election 2022 : ફરી એકવાર ‘સરદાર’ના નામે રાજનિતી ! ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

27 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે 2022ની ચૂંટણીમાં પોતાની બાદશાહત બતાવવા માટે ચૂંટણી ઢંઢેરામાં વચનોની લહાણી કરી છે. તો સાથે જ તેમણે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ સરદાર પટેલ કરવામાં આવશે તેવી જાહેરાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે.

Gujarat Election 2022 : ફરી એકવાર ‘સરદાર’ના નામે રાજનિતી !  ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
BJP lashes out Congress over manifesto
| Edited By: | Updated on: Nov 13, 2022 | 7:25 AM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ ફરીથી રાજનિતીમાં સરદાર કેન્દ્ર સ્થાને રહ્યા છે. 27 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે 2022ની લડાઇમાં પોતાની બાદશાહત બતાવવા માટે વચનોની લહાણી કરી છે.  સાથે જ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે ગુજરાતની જનતાને વચન આપ્યું છે કે જો તેઓની સરકાર આવશે તો અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે અને સરદાર પટેલ કરવામાં આવશે. જેના કારણે ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે.

ગુજરાત ઈલેક્શન 2022 : કોંગ્રેસ નીચલા સ્તરની રાજનિતી પર ઉતરી ગયુ છે – સુધાંશુ ત્રિવેદી

કોંગ્રેસ પર નિશાન સાધતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, ગુજરાતમાં લોકતંત્રના પર્વનું વાતાવરણ છે, પણ આ વાતાવરણમાં અનેક પ્રકારના એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે લોકતંત્રની ભાવના અને ગુજરાતના ગૌરવ પર આઘાત કરતા નજરે ચઢી રહ્યા છે. તો સાથે જ  તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસના યુવરાજ એક તરફ ભારતજોડો યાત્રા કરી રહ્યાં છે. અને બીજીતરફ કોંગ્રેસના વરિષ્ટ નેતા મધુસુદન મિસ્ત્રીએ વડાપ્રધાન પર નિંદનીય શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે.

PM મોદી માટે ‘ઓકાત’ જેવા શબ્દોનો પ્રયોગ કરી કોંગ્રેસ નીચલા સ્તરની રાજનિતી પર ઉતરી ગયુ છે. તો વધુમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં 2007માં સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહ્યા હતા. સરદાર પટેલના મૃત્યુ પછી કોંગ્રેસના કોઈ નેતા બતાવે કે તેમના નામે કોઈ યોજના કે સંસ્થા બનાવી હોય….? કોંગ્રેસે હંમેશા સરદાર પટેલનું અપમાન કર્યું છે.જ્યારે ભાજપે સરદાર પટેલનું વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી તેઓને સન્માનીત કર્યા.

ગુજરાત ઈલેક્શન 2022 : ચૂંટણી પહેલા કોંગ્રેસની વાયદાઓની વણઝાર

આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું કે કોંગ્રેસની કથની અને કરણીમાં ફરક છે. અમે માત્ર ગુજરાતમાં વિકાસની વાત જ કરતા નથી પરંતુ દેશમાં ‘ગુજરાત મોડેલ’ને પ્રસ્થાપિત કરી દેશને વિશ્વ ફલક ઉપર પહોંચાડ્યુ છે. દિલ્હી મોડેલ એ દેશનું ‘હાસ્યાસ્પદ મોડેલ’ છે. દિલ્હી મોડેલના પ્રણેતાના મંત્રીમંડળના મંત્રીઓ જ આજે આરોપો સાબીત થતાં જેલના સળીયા ગણી રહ્યાં છે.

ગુજરાતમાં સત્તાના શિખર સર કરવા કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને વાયદાઓની વણઝાર કરી છે. જ્યારે સુધાંશુ ત્રિવેદીને ભાજપના મેનિફેસ્ટો અંગે પુછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યું કે, રાજ્યની જનતાને હાલમાં કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે જાણવા માટે સમગ્ર રાજ્યમાં સૂચન પેટીઓ મૂકવામાં આવી છે તેમજ અન્ય પધ્ધતિઓથી સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે. જે પ્રદેશ સમક્ષ આવી ગયા બાદ અને તેનો અભ્યાસ કર્યા બાદ ખૂબ જ ટુંકા સમયગાળામાં અમે મેનિફેસ્ટો જાહેર કરીશું. આ સાથે તેમણે પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોને સમર્થન આપી જંગી બહુમતીથી જિતાડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

Published On - 7:24 am, Sun, 13 November 22