
ભારતમાં સફરજનનું સૌથી વધુ ઉત્પાદન જમ્મુ-કાશ્મીરમાં થાય છે. ત્યારબાદ બીજા નંબર પર હિમાચલ પ્રદેશ આવે છે, જ્યાં સફરજનની (Apple Farming) બાગાયતી ખેતી કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશના સફરજનની ખેતી કરતા ખેડૂતો (Farmers) માટે એક સારા સમાચાર આવ્યા છે. હિમાચલ પ્રદેશ સરકારની માગ પર કેન્દ્ર સરકારે નાફેડ દ્વારા સફરજનની ખરીદી માટે એક સમિતિની રચના કરી છે.
આ કમિટી હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલી માગની સમીક્ષા કરશે. ત્યારબાદ સમીક્ષા દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કમિટીના રિપોર્ટના આધારે કેન્દ્ર સરકાર ડાંગર અને ઘઉંની જેમ નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી સફરજનની આયાત કરવાનો નિર્ણય લઈ શકે છે. તેનાથી ખેડૂતોને સફરજનના સાર ભાવ મળશે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. આ વર્ષે ભારે વરસાદ પડવાને કારણે રાજ્યમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે હિમાચલ પ્રદેશમાં સફરજનના પાકને વધારે નુકસાન થયું છે.
અતિવૃષ્ટિને કારણે સફરજનના બાગમાં ભૂસ્ખલન થયું હતું, તેનાથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે અને આર્થિક નુકસાન થયું છે. આ સાથે જ વાવાઝોડા સાથે વરસાદ પડવાને કારણે સફરજનના ઘણા ઝાડ પડી ગયા હતા. જેની સીધી અસર સફરજનના પાક ઉત્પાદન પર પડી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે અનેક રસ્તાઓને નુકશાન થયું હતું, જેના કારણે સફરજનનો પાક ખેતરથી બજાર સુધી સમયસર પહોંચ્યો નહતો.
હિમાચલના ખેડૂતોના જણાવ્યા અનુસાર, પહેલા વાતાવરણના કારણે પાકને નુકશાન થયું હતું અને હવે બજારમાં સફરજનને યોગ્ય ભાવ મળી રહ્યા નથી. જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવી પડી રહી છે. તેથી કેન્દ્ર સરકારે ડાંગર અને ઘઉંના પાકની જેમ ખેડૂતો પાસેથી સફરજનની ખરીદી કરવી જોઈએ. ખેડૂતોની આ માગ પર હિમાચલ પ્રદેશ સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ નાફેડ દ્વારા સફરજનની ખરીદી શરૂ કરવાની માગ કરી છે.
સફરજનના ઉત્પાદનમાં હિમાચલ પ્રદેશ દેશમાં બીજા ક્રમે છે. હિમાચલના સફરજનની માગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશ નેપાળમાં પણ છે. દેશમાં ઉત્પાદિત કુલ સફરજનના ઉત્પાદનમાં હિમાચલ પ્રદેશનો હિસ્સો 25 ટકા છે.