ધર્માંતરણ અને હવાલા કૌભાંડની તપાસ કરી રહેલ વડોદરા એસ.ઓ.જી (Vadodara SOG) દ્વારા સલાઉદ્દીન શેખ (Salauddin Sheikh) અને મૌલાના ગૌતમ ઉમરને (Maulana Gautam Umar) જુદા જુદા રાખી ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ અત્યાર સુધી કરેલી તપાસમાં જે વિગતો સામે આવી છે તેમાં સામે આવી રહેલા નામો વાળી વ્યક્તિઓ અને સંસ્થાઓને પણ બોલાવી સામસામે પૂછપરછ કરવામાં આવી રહી છે.
વર્ષ 2020-21 દરમ્યાન વિદેશથી આવેલી રકમ પૈકી આંગડિયાઓ મારફતે ઉત્તરપ્રદેશ, આસામ અને લખનૌમાં અલગ અલગ વ્યક્તિઓને 57 લાખ ઉપરાંતની રકમ મોકલી હોવાની વડોદરણ સલાઉદ્દીન શેખ દ્વારા કબુલાત કરવામાં આવી હતી. વડોદરા એસ.ઓ.જી.ના અધિકારીઓ દ્વારા ગુરુવારે સલાઉદ્દીન શેખને વર્ષ 2020-2021 દરમિયાન વિદેશથી હવાલા મારફતે આવેલી રકમ અને તે રકમનો ક્યાં કેવી રીતે ઉપયોગ થયો તે અંગે વિસ્તૃત પૂછપરછ તથા તપાસ કરવામાં આવી.
તેમજ આ સમયગાળા દરમિયાન જે વ્યક્તિઓ થકી અથવા તો જે વ્યક્તિઓને રકમ પહોંચાડવામાં આવી હતી તેવી કેટલીક વ્યક્તિઓને પણ સાથે રાખીને પૂછપરછ તથા નિવેદન નોંધવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. સલાઉદ્દીન શેખે એ કબૂલાત કરી હતી કે વર્ષ 2020-2021 માં આંગડીયા મારફતે ઉત્તરપ્રદેશ હરિયાણા તથા આસામમાં લાખો રૂપિયાની રકમ મોકલી હતી. જેમાં કેટલીક રકમ મસ્જિદોના નિર્માણ માટે મોકલવામાં આવી હતી.
ક્યારે કોને કેટલી રકમ મોકલી ?
હરિયાણાના મેવાત ખાતે મુબારીક નામના ઈસમને વર્ષ 2020-21 માં 16 લાખ મોકલ્યા.
વર્ષ 20 -21 માં લખનૌમાં મોહંમદ મુજીબને 15 લાખ મોકલ્યા.
વર્ષ 20 -21 માં આસમમાં 19 લાખ 50 હજાર ત્રણ મસ્જિદ બનાવવા મોકલયા.
20 21 માં સદરુદ્દીન નામના ઈસમને આસામમાં 7 લાખ રૂપિયા મોકલ્યા.
આફમી ટ્રસ્ટ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેની ખરીદી પાણીગેટમાં આવેલ કાસુવાલા પેઢીમાંથી કરવામાં આવી હતી. આ અંગે વડોદરા એસ.ઓ.જી દ્વારા પ્રારંભિક તબક્કામાં તપાસ કરવામાં આવી હતી અને આ મુદ્દે આફમી ટ્રસ્ટ તથા કાસુવાલા પેઢીના એકાઉન્ટની ચકાસણી કરવામાં આવી હતી. બંનેના એકાઉન્ટનું ક્રોસ વેરિફિકેશન કરતા આફમી ટ્રસ્ટ અને કાસુવાલા પેઢીના નાણાકીય વ્યવહાર અને એન્ટ્રીમાં વિસંગતતાઓ જોવા મળી હતી. આ અંગે ગુરુવારે કાસુવાલા પેઢીના ઈસ્માઈલ કાસુવાલા તથા સલાઉદ્દીનને સામસામે રાખીને વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી હતી. અને બંનેના આંકડાઓની એન્ટ્રી જુદી જુદી કેમ તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
અત્યાર સુધી વિદેશથી આવેલ કરોડોની રકમ અને આંગડિયા મારફતે થયેલી હેરાફેરી આંકડાઓ મેળવવાની કોશિશ કરી રહેલ વડોદરા SOG દ્વારા ઇડી અને ઇનકમટેક્સ જેવી કેન્દ્રીય એજન્સીઓને જાણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ બંને કેન્દ્રીય એજન્સીઓ ના અધિકારીઓ નાણાકીય વ્યવહારો અંગે તપાસ શરૂ કરી શકે છે.
આ પણ વાંચો: અમિત શાહના જન્મદિવસ નિમિત્તે પ્રજા વચ્ચે જશે મુખ્યમંત્રી, સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપશે CM ભૂપેન્દ્ર પટેલ