હવે વ્યાજખોરોની ખેર નથી ! વ્યાજના ખપ્પરમાં હોમાતા લોકોને બચાવવા સુરત અને રાજકોટ જિલ્લા પોલીસનું ખાસ અભિયાન

રાજકોટ અને સુરત શહેર પોલીસ વ્યાજના વિષચક્રનો ભોગ બનનારાઓને ભયમુક્ત કરવા વધુ લોક દરબારનું પણ આયોજન કરી રહી છે. આમ પોલીસે હવે વ્યાજના ખપ્પરમાં હોમાતા લોકો અને પરિવારોને બચાવવા એક ખાસ અભિયાન ઉપાડ્યું છે.

હવે વ્યાજખોરોની ખેર નથી ! વ્યાજના ખપ્પરમાં હોમાતા લોકોને બચાવવા  સુરત અને રાજકોટ જિલ્લા પોલીસનું ખાસ અભિયાન
File Photo
| Edited By: | Updated on: Jan 07, 2023 | 6:59 AM

વ્યાજના ચક્કરમાં આવીને અનેક પરિવારોએ બરબાદ થઈને જીવન ટૂંકાવ્યું છે. બાળકો સહિત આખી પેઢીએ આપઘાત કર્યો હોવાના સમાજમાં અનેક દાખલા બનતા પોલીસ હવે વ્યાજખોરો પર આક્રમક બનવા જઈ રહી છે, ત્યારે એ જાણીએ કે સુરત, અને રાજકોટ જેવા જિલ્લાઓમાં પોલીસે વ્યાજખોરોને સકંજામાં લેવા કેવો પ્લાન બનાવ્યો છે.

પોલીસે કાર્યવાહી કરીને 14 લોકોની ધરપકડ કરી

સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે અને આ પાટનગરમાં દેશભરના અલગ અલગ રાજ્યના લોકો રોજગારીની શોધમાં આવીને વસ્યા છે. શહેરમાં વસીને નાનો મોટો ધંધો કરતા હોવાથી પૈસાની જરૂર હોય છે. બસ આ જ વાતનો લાભ ઉઠાવી કેટલાક અસામાજીક તત્વો આવા લોકોને રૂપિયા વ્યાજ તો આપે છે પણ તેની અવેજમાં વ્યાજની મોટી રકમ પડાવી લેતા હોય છે. આવી સતત ફરિયાદો સુરત પોલીસ સામે આવી રહી છે. ત્યારે સુરત પોલીસ આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. સુરતના આઈ ડિવિઝન વિસ્તારમાં સચિન અને સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરીને 14 લોકોની ધરપકડ કરી છે.

આ ડ્રાઈવ અંતર્ગત સચિન GIDC પોલીસ અને સચિન પોલીસે વ્યાજખોરો સામે 10 ગુના નોંધ્યા છે. અને 14 લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. સચિન GIDC પોલીસે 10 અને સચિન પોલીસે 4 વ્યાજખોરોની ધરપકડ કરી. આ શખ્સો નાના ધંધાર્થીઓને મહિને 15 ટકા વ્યાજે રૂપિયા આપતા અને ત્યારબાદ પરેશાન કરતા હતા. જો 10 હજાર વ્યાજે આપ્યા હોય તો વ્યાજપેટે રૂપિયા 2 હજાર પહેલેથી જ કાપી લેતા, ત્યારબાદ રોજેરોજ વ્યાજ વસૂલ કરતા હતા. અને જો વ્યાજના રૂપિયા ન આપે તો ધાકધમકી આપીને હેરાન કરતા હતા. પોલીસે આવા નાના ધંધાર્થીઓ, શાકભાજીની લારીવાળા અને કટલરી વેચતા લોકોને વ્યાજના વિષચક્રમાંથી છોડાવ્યા છે.

વ્યાજખોરોને પણ સકંજામાં લઈને પોલીસની સરાહનીય કામગીરી

આ તરફ રાજકોટમાં પણ વ્યાજખોરો આતંક મચાવ્યો છે. જેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. DCP ઝોન 1ના વિસ્તારમાં 7 ગુના નોંધવામાં આવ્યા છે. વ્યાજખોરોને ડામવા માટે 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કડક કાર્યવાહી માટે પોલીસ એક ડ્રાઈવ ચલાવી રહી છે..જે અંતર્ગત વ્યાજખોર આરોપીઓ વિરૂદ્ધ મની લેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુના નોંધવામાં આવી રહ્યા છે. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 4, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 અને થોરાળા પોલીસ સ્ટેશનમાં 1 મળીને કુલ 7 ગુના નોંધવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં રાજકોટ શહેર પોલીસ વ્યાજના વિષચક્રનો ભોગ બનનારાઓને ભયમુક્ત કરવા વધુ લોક દરબારનું પણ આયોજન કરી રહી છે. આમ પોલીસે હવે વ્યાજના ખપ્પરમાં હોમાતા લોકો અને પરિવારોને બચાવવા એક ખાસ અભિયાન ઉપાડ્યું છે જેમાં લોકોનો સહકાર પણ મળી રહ્યો છે. વધુને વધુ લોકો જાગૃત થાય એવો પ્રયાસ પોલીસ કરી રહી છે. સાથે જ વ્યાજખોરોને પણ સકંજામાં લઈને પોલીસે સરાહનિય કામગીરી શરૂ કરી છે.

Published On - 6:44 am, Sat, 7 January 23