અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારમાં આવેલી જીવકોરબા લલ્લુભાઇ ટ્રસ્ટના સંચાલકો સામે ફરિયાદ નોંધાઇ છે. જીવકોર લલ્લુભાઈ ટ્રસ્ટમાં (Jivkor Lallubhai Trust) વર્ષ 2012 થી અત્યાર સુધીના ટ્રસ્ટીઓ દ્વારા તેમને સોંપવામાં આવેલી સત્તા અને અધિકારનો દુરુપયોગ કર્યો હોવાનુ સામે આવ્યુ છે.સાથે જ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી તરફથી સોઇલ ટેસ્ટ (Soil Test) માટે આવતી ગ્રાન્ટની રકમ મેળવી લેવાના ઇરાદે, ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના નામે ખોટા બેન્ક એકાઉન્ટ ખોલાવી તથા ખોટા બિલો બનાવી એક કરોડથી વધુ રકમની ઉચાપત કર્યો હોવાનુ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
એટલું જ નહીં ખોટા ઓડિટ રિપોર્ટ (Audit Report) અને ગ્રાન્ટ યુટીલાઈઝેશન સર્ટિફિકેટ તેમજ વિદ્યાર્થીઓના નામે ખોટા વાઉચર બનાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ગ્રાન્ટની રકમ ચૂકવવાની હોવા છતાં પૈસા ન ચૂકવી તમામ રેકોર્ડ ખોટા હોવાનું જાણવા છતાં સરકારમાં રજૂ કરી એક કરોડ બે લાખ 84 હજારથી વધુની રકમ મેળવીને સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ મણીનગર પોલીસ મથકે (maninagar police station) નોંધાઇ છે. હાલ ટ્રસ્ટીઓ સહિત નવ લોકો સામે એક કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર મામલે જીવકોરબા લલ્લુભાઈ ટ્રસ્ટના ટ્રસ્ટી ચેતનકુમાર શાહે પ્રિન્સિપાલ રૂતેશ શાહ અને અન્ય ટ્રસ્ટીઓમાં બીમલ પરીખ, નરેન્દ્ર શાહ, હેમંત શાહ, પંકજ શાહ, જીતુ શાહ, પંકજ શાહ, હિમાંશુ પરીખ અને હેમંત શાહ (Hemant shah) સામે ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત આરોપીઓએ રાજ્ય સરકાર પાસેથી સોઇલ ટેસ્ટના નામે મળતી ગ્રાન્ટનો ઉપયોગ અંગત હેતુસર કરીને ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જે મામલે મણીનગર પોલીસે પુરાવાઓ એકત્ર કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે આ મામલે મણીનગર પોલીસે ફરિયાદમાં સામેલ તમામ આરોપીઓના નિવેદન અને પુરાવાઓ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે છેલ્લા આઠ વર્ષ કરતાં વધુ સમયમાં જે પણ ટ્રસ્ટીઓ (Trustee) દ્વારા જે પણ રકમની ઠગાઈ કરવામાં આવી હોવાનું પુરવાર થશે તેની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરીને ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવશે. હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
Published On - 8:22 am, Wed, 31 August 22