Omicron Variant: હવે કેરળમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી, દેશમાં અત્યાર સુધીમાં 38 લોકો સંક્રમિત થયા

રવિવારે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના 5 નવા કેસ આવવાની સાથે જ દેશમાં તેની કુલ સંખ્યા વધીને 38 થઈ ગઈ છે.

Omicron Variant: હવે કેરળમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી, દેશમાં અત્યાર સુધીમાં 38 લોકો સંક્રમિત થયા
Symbolic Photo
| Edited By: | Updated on: Dec 12, 2021 | 8:48 PM

કેરળ(Kerala)માં પણ હવે નવા ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટે પ્રવેશ કર્યો છે. કેરળના સ્વાસ્થ્ય પ્રધાન(Minister of Health) વીણા જ્યોર્જે રવિવારે કહ્યું કે કોચી(Kochi)માં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. એ પણ કહ્યું કે સંબંધિત વ્યક્તિ 6 ડિસેમ્બરે યુકેથી કોચી પરત ફર્યો હતો અને 8 ડિસેમ્બરે તે કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો.

 

સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે દર્દીની બાજુમાં બેઠેલા ઉચ્ચ જોખમ ધરાવતા મુસાફરોને જાણ કરવામાં આવી છે. ગભરાવાની જરૂર નથી, તેમની હાલત સ્થિર છે. તેમની પત્ની અને માતાનો પણ કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે.

દેશમાં અત્યાર સુધીમાં 38 ઓમિક્રોન કેસ 

રવિવારે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના 5 નવા કેસ આવવાની સાથે જ દેશમાં તેની કુલ સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. એક 20 વર્ષીય યુવક જે વિદેશથી તેના સંબંધીઓને મળવા ચંદીગઢ પહોંચ્યો હતો તેને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે, ચંદીગઢમાં કોરોના વાયરસના આ પ્રકારથી કોઈ વ્યક્તિને સંક્રમણ લાગ્યુ હોવાનો પ્રથમ કેસ છે.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. ચંદીગઢ હેલ્થ સર્વિસના ડાયરેક્ટર ડૉ. સુમન સિંહે જણાવ્યું કે યુવક ઈટાલીમાં રહેતો હતો. હાલમાં જ તે અહીં તેના સંબંધીઓને મળવા આવ્યો હતો. તેમનો જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ 11 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે મળ્યો હતો અને તે ઓમિક્રોન વેરિઅન્ટ્સથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.

ઓમિક્રોનનો નાગપુરમાં પહેલો કેસ રવિવારે સામે આવ્યો

આ સિવાય રવિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં પણ ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ આફ્રિકન દેશમાંથી પરત ફરેલા 40 વર્ષીય વ્યક્તિ કોરોના વાયરસના આ પ્રકારથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC)ના કમિશનર રાધાકૃષ્ણન બીએ જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસી લગભગ આઠ દિવસ પહેલા પશ્ચિમ આફ્રિકાથી પરત ફર્યા હતા. અહીં પહોંચતા જ તે કોવિડ-19થી પીડિત જોવા મળ્યો હતો.

આ પછી તેને શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા. આજના રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે તે ઓમિક્રોન વેરિઅન્ટથી પીડિત છે. પરંતુ જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા તેઓને સંક્રમણ લાગ્યુ નથી, એમ તેમણે જણાવ્યું હતું. કમિશનરે કહ્યું કે દર્દીની સ્થિતિ સ્થિર છે અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ.

 

આ પણ વાંચો : વડોદરાની SSG અને નરહરિ હોસ્પિટલને ICU ઓન વ્હીલ એમ્બ્યુલન્સ આપવામાં આવી

આ પણ વાંચો :  ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના પાર્થિવ દેહના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ દર્શન કર્યા

Follow Us
Loading...
Unable to load recommendations.