Rajkot: કોરોનાનો રાફડો ફાટ્યો, ટેસ્ટિંગ કરાવવા લોકોની લાઈનો લાગી

|

Jan 20, 2022 | 11:38 AM

ગત 24 કલાકમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના (corona)ના 1386 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે એક જ દિવસમાં બે ગણા વધ્યાં છે. સામાન્ય લક્ષણો જોવા મળે તો પણ લોકો ટેસ્ટ કરાવવા પહોંચી રહ્યા છે.

રાજકોટના રૈયા ચોક ટેસ્ટિંગ (testing) બુથ પર લોકોની લાઈનો લાગી છે. જ્યાં બપોર સુધીમાં કરવામાં આવેલા કુલ કેસોમાંથી અડધોઅડધ લોકો પોઝિટિવ આવી રહ્યા છે. જે ચિંતાની વાત છે. વધતાં કેસોને પગલે રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) એ ટેસ્ટીંગ બુથ સાંજે 5 વાગ્યાના બદલે સાંજે 6-30 વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચના આપી છે. આ ઉપરાંત ધનવંતરી રથની સંખ્યા વધી

હાલમાં 4732 એક્ટિવ કેસ જેમાંથી 74 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટમાં કોરોના (Corona) કેસમાં વધારો થયો છે. હાલમાં 4732 એક્ટિવ કેસ (Active case) છે. જેમાંથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. હાલમાં સિવીલ હોસ્પિટલમાં 50 અને ખાનગી હોસ્પિટલોમાં 24 મળીને કુલ 74 દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 5-6 દર્દીને ઓક્સિજનની જરૂર છે જેણે વેક્સિન લીધી નથી. બાકીના તમામ લોકો હોમ આઇસોલેટ છે. હોમઆઇસોલેટ દર્દીઓ પર આરોગ્ય વિભાગની ટીમ સતત નજર રાખી રહી છે અને તેની તબિયતની તકેદારી લઇ રહી છે.

વેક્સિન નહિ લેનાર દર્દીને પડી રહી છે ઓક્સિજનની જરૂર

કોરોના સંક્રમિત થનાર દર્દીએ પૈકી 50 દર્દીઓ સિવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જે પૈકી 7 દર્દીઓ ઓક્સિજન પર છે.સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ કહ્યું હતું કે કોરોના વોર્ડમાં દાખલ 50 દર્દીઓ પૈકી 8 દર્દીઓ (patients) ઓક્સિજન પર છે.બાકીના નોર્મલ રૂમ એરમાં છે અને તેઓને સામાન્ય લક્ષણ છે.જે લોકોએ વેક્સિનનો ડોઝ લીધો નથી તેવા લોકોમે વધારે અસર થઇ છે.જે લોકોએ બે ડોઝ લીધા છે તેઓની તબિયત સ્થિર છે. વેક્સિન નહિ લેનાર દર્દીને ઓક્સિજનની જરૂર પડે છે

અધિકારીઓ પણ થઇ રહ્યા છે કોરોના સંક્રમિત

રાજકોટમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેવા સમયે વિવિધ વિભાગોના અઘિકારીઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે,રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પ્રકાશ માંગુડા,ગોંડલના મામલતદાર કે.વી નકુમ, ધોરાજીના મામલતદાર કે.ટી જોલાપરા કોરોના સંક્રમિત થયા છે જ્યારે રાજકોટ આઇબીના ડીવાયએસપી ધાધલ અને તેના પરિવારના પાંચ સભ્યો કોરોના સંક્રમિત થયાં છે.જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની પણ તબિયત નાદુરસ્ત થઇ છે.તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળતા તેઓએ પણ ટેસ્ટ કરાવ્યો છે જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે.

આ પણ વાંચોઃ  ગુજરાતમાં ડોકટરોની હડતાળને લઇને સામે મોટા સમાચાર

આ પણ વાંચોઃ Kutch : એનસીબીની મુન્દ્રા પોર્ટ પર મોટી કાર્યવાહી, વિદેશી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો

Next Video