Agneepath Scheme Recruitment: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાને (Agneepath Scheme) લઈને દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. દરમિયાન, ભારતીય સેનાએ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતી માટે સૂચના જાહેર કરી છે. આ અંતર્ગત જુલાઈથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. અગ્નિપથ સંરક્ષણ ભરતી યોજના વિરુદ્ધ પ્રદર્શનોને કારણે સોમવારે 500 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી હતી, જેના કારણે રેલ કામગીરી ફરીથી ખોરવાઈ હતી. રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 539 ટ્રેનોને અસર થઈ હતી, 529 ટ્રેનો રદ કરવામાં આવી હતી, જેમાં 181 મેલ/એક્સપ્રેસ ટ્રેનો અને 348 પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે. ટ્રેનોમાં આગચંપી કરવાની ઘટનાઓ પણ સામે આવી છે.
સૂચના અનુસાર ઉમેદવારોને તાલીમ સમયગાળા સહિત 4 વર્ષના સેવા સમયગાળા માટે નામાંકિત કરવામાં આવશે. અગ્નિવીર આર્મી એક્ટ, 1950ને આધીન રહેશે. આવી સ્થિતિમાં, તેઓ જમીન, સમુદ્ર અથવા હવાઈ માર્ગે ગમે ત્યાં મુસાફરી કરવા માટે જવાબદાર ગણવામાં આવશે. સૂચના અનુસાર, ઉમેદવારોની ભરતી 4 વર્ષ માટે કરવામાં આવશે. આ દરમિયાન તેને દર વર્ષે 30 દિવસની રજા પણ મળશે. સેવાના પ્રથમ વર્ષમાં 30 હજાર રૂપિયા, બીજા વર્ષે 33 હજાર રૂપિયા, ત્રીજા વર્ષે 36,500 રૂપિયા અને છેલ્લા વર્ષે એટલે કે ચોથા વર્ષે 40 હજાર રૂપિયા પગાર અને ભથ્થાં આપવામાં આવશે.
ભારતીય સેના દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ‘અગ્નવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ટેકનિકલ (એવિએશન/એમ્યુનિશન એક્ઝામિનર), અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડ્સમેન 10મું પાસ અને અગ્નવીર ટ્રેડ્સમેન 8મું પાસ સંબંધિત એઆરઓ દ્વારા જુલાઈ 2022 થી રજીસ્ટ્રેશન શરૂ થશે. એટલે કે આ પાંચ ટ્રેડ પર ભરતી થવાની છે. આ માટે, ઉમેદવારો ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ https://joinindianarmy.nic.in/ પર જઈને અરજી ફોર્મ ભરી શકશે.
અગાઉ, ભારતીય સેનાએ અગ્નિપથ સેનાભારતી યોજના હેઠળ સેનામાં જોડાતા ઉમેદવારો માટે માર્ગદર્શિકા અને અન્ય સંબંધિત જાહેર કર્યા હતા. સેનાએ કહ્યું કે અગ્નિવીર ભારતીય સેનામાં એક અલગ કેટેગરી હશે, જે હાલના રેન્કથી અલગ હશે. આ હેઠળ ભરતી થયેલા સૈનિકોને કોઈપણ રેજિમેન્ટ અથવા યુનિટમાં પોસ્ટ કરી શકાય છે. ઓફિશિયલ સિક્રેટ એક્ટ, 1923 હેઠળ, અગ્નિવીર 4 વર્ષની સેવા દરમિયાન મળેલી ગોપનીય માહિતી કોઈપણ અનધિકૃત વ્યક્તિ અથવા સ્ત્રોતને જાહેર કરી શકશે નહીં.
સેનાએ કહ્યું કે, આ યોજનાના અમલીકરણ સાથે, સેનાની તબીબી શાખાના તકનીકી કેડર સિવાય, અન્ય તમામ સામાન્ય કેડરમાં સૈનિકોની નિમણૂક ફક્ત તે જ લોકો માટે ખુલ્લી રહેશે જેમણે અગ્નિવીર તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. સેનાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે સેવાનો સમયગાળો પૂરો થતાં પહેલાં અગ્નવીર પોતાની મરજીથી સેના છોડી શકશે નહીં. જો કે, તે જણાવે છે કે અત્યંત દુર્લભ કિસ્સામાં, આ યોજના હેઠળ ભરતી કરાયેલા સૈનિકને સક્ષમ અધિકારીની પરવાનગી સાથે સૈન્ય છોડવાની મંજૂરી આપવામાં આવશે.
Published On - 3:03 pm, Mon, 20 June 22