ભારતમાં પવન ઊર્જાના પ્રણેતા અને સુઝલોન એનર્જીના (Suzlon Energy) માલિક તુલસી તંતીનું (Tulsi Tanti) નિધન થયું છે. હ્રદય રોગના હુમલાથી તેઓ અવસાન પામ્યા છે. ભારત અને વિશ્વમાં આજે વિન્ડ એનર્જી માટે જાગૃતિ જોવા મળી રહી છે, પરંતુ તુલસી તંતી દેશમાં સૌથી પહેલા પવન ઊર્જા (Wind energy) )માટે ચક્કી લાવીને તેની શરૂશરૂઆત કરનારા હતા. તેઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બહોળો મિત્રવર્ગ ધરાવતા હતા. તેમના નિધનથી ઔદ્યોગિક જગત તેમજ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સૂઝલોન કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે તુલસી તંતી શનિવારે રાત્રે અમદાવાદમાં હતા અને તે દરમિયાન જ તેમનું હ્દય ધબકવાનું બંધ થઈ ગયું હતું. તેમના પરિવારમાં દીકરી નિધી અને દીકરો પ્રણવ છે. તેમના પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયેલા છે.
તુલસી તંતી મૂળ તો ટેક્સટાઇલનો પ્રોજક્ટ કરતા હતા તેમાં વીજળીનો ખર્ચો વધારે આવતો હોવાથી તુલસી તંતીએ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ ઓછો કરવા પવન ચક્કીમાંથી ઉર્જા મેળવવાની શરૂઆત કરી હતી અને આ વિચાર વ્યાપક બનતા તેમણે સ્થાપેલી સુઝલોન એનર્જી દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની બની છે. આ 27 વર્ષમાં કંપનીએ દેશ અને દુનિયાના 17 દેશોમાં 19 ગીગાવૉટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા છે. ગત શનિવારે તુલસી તંતી અમદાવાદ આવ્યા હતા અને અહીં તેમણે કંપનીના રૂપિયા 1 હજાર 200 કરોડના રાઇટ્સ ઇસ્યુ માટે રોડ શૉ કર્યા હતા તેમજ પત્રકારો સાથે વાતચીત કરી હતી. કેન્દ્ર સરકારના રિન્યુએબ્લ એનર્જી ટાસ્ક ફોર્સના તેઓ અધ્યક્ષ હતા અને સરકારને આ દિશામાં કામગીરી કરવા માટે સતત માર્ગદર્શન આપતા હતા. મૂળ રાજકોટના તુલસી તંતીએ વ્યવસાય માટે અમદાવાદ પસંદ કર્યું હતું અને છેલ્લે 2004માં પુણે સ્થાયી થયા હતા. તેમનો પુત્ર પ્રણવ અને પુત્રી નિધી અમેરિકામાં સ્થાયી થયેલા છે..
Published On - 10:35 am, Sun, 2 October 22