
હાલની તારીખમાં લગ્ન સીઝન ચાલી રહી છે અને દરેક ઘરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંબંધીઓ-મિત્રો તરફથી કન્યા અને વરરાજાને ઘણી ભેટ મળશે પરંતુ સવાલ એ છે કે, લગ્નની ભેટ તરીકે કેટલી રોકડ રકમ સ્વીકારવી યોગ્ય છે?
ઇન્કમ ટેક્સ મુજબ, લગ્નમાં કન્યા અને વરરાજાને મળેલી કોઈપણ ભેટ પછી ભલે તે રોકડ હોય, ચેક હોય, ઘરેણાં હોય કે મિલકત હોય, તે સંપૂર્ણપણે નોન-ટેક્સેબલ છે. લગ્ન પ્રસંગે મળેલ ગિફ્ટ્સ આવકની કેટેગરીમાં આવતી નથી, તેથી તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. જો કે, આનો અર્થ એ નથી કે, તમે કોઈપણ રકમ રોકડમાં સ્વીકારી શકો છો. રોકડ ભેટ પર એક અલગ મર્યાદા છે.
આવકવેરા કાયદા મુજબ, તમે લગ્નમાં રોકડ ભેટ સ્વીકારી શકો છો પરંતુ તમે એક જ દિવસમાં એક વ્યક્તિ પાસેથી ₹2 લાખથી વધુ રોકડ સ્વીકારી શકતા નથી. જો કોઈ સંબંધી કે મિત્ર તમને ₹2 લાખથી વધુ રોકડ આપે છે, તો તે કાયદાનું ઉલ્લંઘન હશે.
જો તમે આ મર્યાદા ઓળંગશો, તો તમને ભારે દંડ થઈ શકે છે. આ દંડ તમે નિયમોનું ઉલ્લંઘન કરીને લીધેલી રોકડ રકમ જેટલો હશે. ઉદાહરણ તરીકે, જો કોઈ તમને ₹3 લાખ રોકડા આપે છે, તો તમને ₹3 લાખનો દંડ થઈ શકે છે. આ દંડ કલમ 269ST હેઠળ લાદવામાં આવે છે. આથી, લગ્નમાં રોકડ સ્વીકારતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.
જો કોઈ તમને ₹2 લાખથી વધુની રકમ ભેટમાં આપવા માંગે છે, તો તેને રોકડમાં સ્વીકારશો નહીં. તમે ચેક, RTGS, NEFT, IMPS અથવા કોઈપણ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રકમ મેળવી શકો છો.