
આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે. લોકો ઘરથી તેને ઓનલાઈન પૂર્ણ કરી શકે છે. જો કે પહેલી વાર કરદાતાઓ માટે આ પ્રક્રિયા હજુ પણ થોડી મુશ્કેલ બની શકે છે. કેટલીકવાર આવકવેરા વિભાગ તરફથી નોટિસ તમારા રિટર્ન ફાઇલ કર્યા પછી અથવા તે પહેલાં આવે છે. આવા કિસ્સાઓમાં ગભરાવાની જરૂર નથી તેના બદલે સચોટ માહિતી પ્રદાન કરવી અને તાત્કાલિક જવાબ આપવો મહત્વપૂર્ણ હોય છે.
આવકવેરા નોટિસ એ કરવેરા વિભાગ દ્વારા કરદાતાને મોકલવામાં આવતી સત્તાવાર સૂચના હોય છે. આ નોટિસ વિવિધ કારણોસર મોકલી શકાય છે. નોટિસ મળવાનો અર્થ એ નથી કે તમે ભૂલ કરી છે. ક્યારેક દસ્તાવેજોમાં સુધારો અથવા વધારાની માહિતીની વિનંતી કરવા માટે નોટિસ મોકલવામાં આવે છે.
જો તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી હોય તો પ્રથમ સ્ટેપ તેની ચકાસણી કરવી. આ આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલની વેબસાઇટ પર જઈને કરી શકાય છે. આ પ્રક્રિયા માટે તમારા PAN કાર્ડ, કર દસ્તાવેજો, DIN નંબર અને મોબાઇલ નંબરની જરૂર છે.
જો તમને નોટિસ મળી હોય તો પહેલા તેને કાળજીપૂર્વક વાંચો અને સમજો કે વિભાગ કઈ માહિતી માંગી રહ્યો છે. પછી જરૂરી દસ્તાવેજો તૈયાર કરો. આમાં બેંક સ્ટેટમેન્ટ, ફોર્મ 16, રોકાણ પ્રમાણપત્રો, આઈડી પ્રૂફ, વ્યવહાર વિગતો અને અન્ય રેકોર્ડ શામેલ હોઈ શકે છે. આગળ આવકવેરા પોર્ટલમાં લોગ ઇન કરો અને પેન્ડિંગ એક્શન્સ (Pending Action) હેઠળ e-Proceedings વિકલ્પ પસંદ કરો. નોટિસ અહીં દેખાશે અને તમે ઓનલાઈન જવાબ આપી શકો છો.
તમે જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને તમારો જવાબ આપી શકો છો. તમારો જવાબ સબમિટ કર્યા પછી ભવિષ્યના સંદર્ભ માટે રસીદને ડાઉનલોડ કરી રાખવી. ઉપરાંત પોર્ટલ પરના ઇમેઇલ્સ અને વધુ અપડેટ્સ પર નજર રાખવી. જો તમારી પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અથવા નાણાકીય સલાહકાર હોય તો તમે તેમને પણ નોટિસ બતાવી શકો છો. તેઓ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે.
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અથવા નાણાકીય સલાહકારની સલાહ લેવી.