
હાલના સમયે માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર અયોધ્યા પર છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને લઈને ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. અયોધ્યામાં આ માટેની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે જેને લઈને દેશવાસીઓમાં ખુશીની લહેર છે. 22 જાન્યુઆરીએ બેંકો, વીમા કંપનીઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) એ કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ અંગે આદેશ જાહેર કર્યો હતો. વિભાગે કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો તરફ રવાના કરેલા આદેશમાં જણાવ્યું હતું કે, “અયોધ્યામાં રામલલા પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. “કર્મચારીઓને આ ઉત્સવમાં ભાગ લેવા સક્ષમ બનાવવા માટે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરી 2024 ના રોજ બપોરે 2.30 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે.”
ગુરુવારે નાણા મંત્રાલયના એક નોટિફિકેશનમાં એવું કહેવામાં આવ્યું હતું કે ડીઓપીટી આદેશ જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ અને આરઆરબી પર પણ લાગુ થશે જેથી કર્મચારીઓ રામ લલ્લાના અભિષેક સમારોહમાં ભાગ લઈ શકે.
અડધા દિવસની રજા વચ્ચે ગ્રાહકો માટે રાહતના સમાચાર એ પણ છે કે આ દિવસે ઓનલાઇન બેન્કિંગ અને એટીએમ સુવિધા કાર્યરત રહેશે. માત્ર શાખામાં જવાની જરૂર હોય તેવા કામ અડધો દિવસ બંધ રહેશે.બપોર બાદ કામકં રાબેતા મુજબ ચાલશે.