દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ પ્રોવાઈડર ઈન્ફોસિ(Infosys)સે રવિવારે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેનો એકીકૃત ચોખ્ખો નફો 3.2 ટકા વધીને રૂ. 5,360 કરોડ થયો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો વિશે સ્ટોક એક્સચેન્જોને માહિતી આપતા ઇન્ફોસિસે જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 5,195 કરોડ રૂપિયા હતો. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં કંપનીની આવક 23.6 ટકા વધીને રૂ. 34,470 કરોડ થઈ છે. એપ્રિલ-જૂન 2021 ક્વાર્ટરમાં તે રૂ. 27,869 કરોડ હતો.
પ્રથમ ક્વાર્ટરની વૃદ્ધિથી ઉત્સાહિત, ઇન્ફોસિસે સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે તેના આવકના અંદાજમાં સુધારો કરીને 14-16 ટકા કર્યો છે. અગાઉ આવકનો અંદાજ 13-15 ટકા વૃદ્ધિનો હતો.
કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર સલિલ પારેખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અનિશ્ચિત આર્થિક વાતાવરણ વચ્ચે પ્રથમ ક્વાર્ટરમાં તેમનું એકંદર પ્રદર્શન મજબૂત રહ્યું છે. તે એક સંસ્થા તરીકેની અમારી સહજ સ્થિતિસ્થાપકતા, અમારી ઉદ્યોગ-અગ્રણી ડિજિટલ ક્ષમતાઓ અને સતત ગ્રાહક-સંબંધિતતાનું પ્રમાણપત્ર છે એમ તેમણે ઉમેર્યું હતું.
પારેખે જણાવ્યું હતું કે તેઓ પ્રતિભાને સંલગ્ન કરવા માટે રોકાણ કરી રહ્યાં છે, જેથી તેઓ ઊભરતાં બજારની તકોનો લાભ લઈ શકે. આના કારણે પ્રથમ ત્રિમાસિક ગાળામાં સારી કામગીરી જોવા મળી છે અને નાણાકીય વર્ષ માટે આવકનું મૂલ્યાંકન પણ વધીને 14-16 ટકા કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે મે મહિનામાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ઈન્ફોસિસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સલિલ પારેખને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે ફરીથી નિયુક્ત કર્યા હતા. આ નિમણૂક માર્ચ 2027 સુધી કરવામાં આવી છે. ઈન્ફોસિસે સ્ટોક એક્સચેન્જોને મોકલેલા સંદેશાવ્યવહારમાં જણાવ્યું હતું કે શનિવારે મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં પારેખની પુનઃનિયુક્તિને મંજૂરી આપવામાં આવી હતી. પારેખની નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટી (NRC)ની ભલામણ કરાઈ છે.
પારેખે જાન્યુઆરી 2018માં ઈન્ફોસિસના CEO અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં કામ કરવાનો ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે. રશિયા-યુક્રેન સંકટને ધ્યાનમાં રાખીને ઈન્ફોસિસે રશિયામાંથી તેની કામગીરી પાછી ખેંચી લીધી હતી. જોકે આ નિર્ણયનો કંપનીના વેપાર ઉપર મોટી વિપરીત અસર પડી નથી.