
ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની અસર વધુને વધુ જોવા મળી રહી છે. વિવિધ બેંકોમાં લોકો 2000ની ચલણી નોટ જમા કરાવી રહ્યા છે, અથવા તો બદલાવી રહ્યા છે. તાજેતરના આંકડાઓ અનુસાર, 19 મેથી બેંકો પાસે રહેલી 76 ટકા ચલણી નોટો, બેંકોમાં પાછી આવી ગઈ છે. જ્યારે 87 ટકા નોટો બદલવામાં આવી છે.
19મી મેથી લોકો બેંકોમાં 2000ની નોટ બદલવાનું કામ કરી રહ્યાં છે અથવા તો બેંકમાં આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ જમા કરાવી રહ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો 19 મે સુધી બજારમાં લગભગ 3.56 ટ્રિલિયન નોટો ચલણમાં હતી. જેમાં લગભગ 2.76 ટ્રિલિયન 2000ની નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે. જો નોટો જમા કરાવવા અથવા બદલવાનું કામ આ જ ગતિએ ચાલુ રહેશે તો આરબીઆઈ હવે સમયમર્યાદા પહેલા જ 2000ની ચલણી નોટ એકત્ર કરવાનું લક્ષ્ય હાંસલ કરી દેશે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે લોકોને અપીલ કરી હતી કે, તેઓ આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં તેમની પાસે રહેલ રૂપિયા 2000ની નોટો બેંકમાં જમા કરાવે અથવા તો તેની બદલી કરાવે. 30 સપ્ટેમ્બર પછી 2000ની ચલણી નોટો બદલી શકાશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 2000ની નોટો બેંકોમાં ખૂબ જ ઝડપથી પરત ફરી રહી છે. આરબીઆઈ સતત લોકોને અપીલ કરી રહી છે કે, નોટ બદલવાની કે જમા કરવા માટે જાહેર કરેલ છેલ્લી તારીખ સુધીની રાહ ન જુઓ. આરબીઆઈની આ અપીલની અસર પણ હકારાત્મક રીતે દેખાઈ રહી છે. 19 મેથી ચલણમાં રહેલી 87 ટકા નોટો પરત આવી ગઈ છે તે આ વાતનો પુરાવો છે.
લોકોને બેંકોમાં કતાર ન લગાવવી પડે અને લોકો કોઈ પણ પરેશાની વિના નોટનો ઉપયોગ કરી શકે તે માટે એમેઝોન, ઝોમેટો સહિતની ઘણી કંપનીઓ લોકોને અનેક પ્રકારની ઓફર આપી રહી છે. કોઈ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. તો કોઈ જુદી-જુદી ઓફર આપીને 2000ની નોટો વટાવવામાં આવે તે માટેનો સરાહનીય પ્રયાસ કરી રહ્યું છે. બેંકોમાં નોટ રિટર્નની ઝડપ પરથી કહી શકાય કે 30 સપ્ટેમ્બર પહેલા 100ની નોટ ચલણમાં પરત આવી શકે છે.
Published On - 5:35 pm, Mon, 3 July 23