
RBIએ 2000 રૂપિયાની નોટો, ચલણમાંથી સંપૂર્ણપણે બહાર કાઢવાની તૈયારી કરી લીધી છે. તમામ બેંકોને માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જ્યારે, આરબીઆઈ ગવર્નરે મીડિયાને આ સંદર્ભે બ્રીફિંગ પણ આપી છે. હવે બીજો પ્રશ્ન સામે આવી રહ્યો છે. એટલે કે 1000 રૂપિયાની નોટ પાછી આવશે કે કેમ? આરબીઆઈ ગવર્નરે આ અંગે ખુલ્લેઆમ જણાવ્યું છે.
આરબીઆઈ ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે આરબીઆઈ રૂ. 1000ની નોટ પાછી લાવવાનું વિચારી રહી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રૂ. 1,000ની નોટ ફરીથી રજૂ કરવાની સંભાવના છે, તો આરબીઆઈ ગવર્નર દાસે જવાબ આપ્યો કે આ બધી અટકળો છે. હાલમાં આવી કોઈ દરખાસ્ત નથી.
આરબીઆઈએ, 2000ની ચલણી નોટ બંધ કરવા અને 2000ની ચલણી નોટ બદલવા બહાર પાડેલ માર્ગદર્શિકા બાદ,
આ મામલો હવે દિલ્લી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દિલ્લી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ ડિમાન્ડ સ્લિપ અને ઓળખના પુરાવા વિના રૂ. 2000ની નોટ જમા કરાવવા અથવા અન્ય નાના મૂલ્યની નોટોમાં રોકડ ચૂકવવાનો આદેશ મનસ્વી, અતાર્કિક અને ભારતના બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે.
અરજીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને સૂચના આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં એવુ જણાવ્યું છે કે 2000 રૂપિયાની નોટો માત્ર સંબંધિત બેંક ખાતામાં જ જમા કરવામાં આવે. આના કારણે કોઈ અન્ય બેંક ખાતામાં પૈસા જમા કરાવી શકશે નહીં. તેનાથી કાળું નાણું અને અપ્રમાણસર સંપત્તિ ધરાવતા લોકોની ઓળખ સરળતાથી કરી શકાશે.
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી ભ્રષ્ટાચાર, બેનામી વ્યવહારોને ખતમ કરવામાં મદદ મળશે. અરજદારે કહ્યું કે આ પગલું નાગરિકોના મૂળભૂત અધિકારોને સુરક્ષિત કરવા માટે કેન્દ્રને કાળા નાણા અને અપ્રમાણસર સંપત્તિ ધારકો સામે યોગ્ય પગલાં લેવામાં મદદ કરશે. તેથી આ અંગે સરકાર અને આરબીઆઈને યોગ્ય સૂચના આપવા અરજીમાં વિનંતી કરવામાં આવી છે.