ભારતીય સ્ટેટ બેંક (SBI) અર્થવ્યવસ્થાના વિકાસને ટેકો આપવા માટે શક્ય તેટલા નરમ અને અનુકૂળ વ્યાજના દર રાખશે. કોવિડ -19 રોગચાળાની બીજી લહેરની બેંકની નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) પર પડનાર અસર અંગે બેંકના ચેરમેન દિનેશકુમાર ખારાએ જણાવ્યું હતું કે લોકડાઉન ભારતભરમાં થયું નથી. આવી સ્થિતિમાં બેંકિંગ ક્ષેત્ર પર તેની અસર માટે આપણે થોડો સમય રાહ જોવી પડશે તેનું આંકલન કરવું પડશે.
તેમણે કહ્યું કે મોંઘવારી સહિતની ઘણી વસ્તુઓ છે જેની અસર વ્યાજ દર ઉપર પડે છે. અમારો પ્રયાસ આર્થિક વિકાસના પ્રયત્નોને ટેકો આપવાનો છે. અમે સુનિશ્ચિત કરવા માટે વ્યાજ દરો શક્ય તેટલા નરમ રાખવા પ્રયાસ કરીશું.
ખારાએ કહ્યું હતું કે સ્થાનિક પ્રતિબંધોને આધારે બેંકોના PNA દૃશ્યને લઈને આ સમયે કોઈ આકારણી કરવી ખૂબ જ વહેલી છે. તેમણે કહ્યું, “લોકડાઉનની સ્થિતિ જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી છે તેથી અર્થવ્યવસ્થાની સ્થિતિ અને NPA વિશે કોઈ ટિપ્પણી કરતા પહેલા આપણે વધુ સમય રાહ જોવી જોઈએ.”
તેમણે કહ્યું કે, બેંક સૌથી અસરગ્રસ્ત રાજ્યોમાં કોવિડ -19 દર્દીઓની સારવાર માટે એક હજાર બેડની વ્યવસ્થા કરવા માંગે છે. આમાં ICU સુવિધા સાથે 50 બેડ હશે. ખારાએ કહ્યું કે સ્ટેટ બેંક ઓક્સિજન સિલિન્ડર અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે હોસ્પિટલો અને એનજીઓ સાથે જોડાણ પણ કરી રહી છે.તમેણે ઉમેર્યું હતું કે “અમે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમે 70 કરોડની જોગવાઈ કરી છે જેમાં કોવિડ -19 સંબંધિત પહેલ અંતર્ગત 17 સર્કલમાં 21 કરોડ રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે”
તેમણે કહ્યું કે બેંકના કર્મચારીઓ અને તેમના પરિવારોને સુરક્ષિત રાખવા માટે બેંકે બીમાર પડેલા બેંકના કર્મચારીઓને પ્રાથમિકતાની સારવાર આપવા માટે દેશભરની કેટલીક હોસ્પિટલો સાથે જોડાણ કર્યું છે. બેંકે તેના કર્મચારીઓ અને તેમના આશ્રિતોના રસીકરણનો ખર્ચ પણ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. બેંકના કુલ અઢી લાખ કર્મચારીઓમાંથી અત્યાર સુધીમાં 70 હજાર કર્મચારીઓને રસી આપવામાં આવી છે.