
ભારતની બીજી સૌથી મોટી ખાનગી ICICI બેંકે 1 ઓગસ્ટ, 2025 થી તેના ગ્રાહકો માટે મંથલી એવરેજ બેલેન્સ અને રોકડ વ્યવહારોને લઈને નિયમોમાં ખાસ ફેરફારો કર્યા છે. આ નવા નિયમો સીધા ગ્રાહકોને અસર કરશે. વાત એમ છે કે, હવે ગ્રાહકોએ ઉચ્ચ લઘુત્તમ બેલેન્સ જાળવવું પડશે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, નવા અને જૂના ગ્રાહકો માટે મંથલી એવરેજ બેલેન્સના નવા નિયમો અનુસાર, 1 ઓગસ્ટ, 2025 ના રોજ અથવા તો તે પછી ખાતું ખોલાવનારા ગ્રાહકોએ હવે ₹50,000 મિનિમમ બેલેન્સ જાળવવું પડશે.
જણાવી દઈએ કે, મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ₹50,000, સેમી અર્બન વિસ્તારોમાં ₹25,000 અને ગ્રામીણ વિસ્તારોમાં ₹10,000 મિનિમમ બેલેન્સ જાળવવું પડશે. જો ગ્રાહક દ્વારા મિનિમમ બેલેન્સ જાળવી રાખવામાં નહી આવે તો, તેને 6% અથવા ₹500 સુધીનો દંડ ચૂકવવો પડશે.
હવે બેંકમાં દર મહિને ફક્ત ત્રણ મફત રોકડ જમા કરી શકાશે, ત્યારબાદ દરેક જમા પર ₹150નો ચાર્જ લાગશે. એક મહિનામાં વધુમાં વધુ ₹1 લાખ રોકડ જમા કરવાની મર્યાદા રહેશે. રોકડ ઉપાડ માટે પણ દર મહિને ત્રણ મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા યથાવત રહેશે.
થર્ડ પાર્ટી દ્વારા રોકડ જમા કરવાની મહત્તમ મર્યાદા એક ટ્રાન્ઝેક્શનમાં ₹25,000 નક્કી કરવામાં આવી છે. ICICI બેંકે એપ્રિલ 2025 માં બચત ખાતા પર વ્યાજ દર 0.25% ઘટાડીને 2.75% ની આસપાસ કરેલો છે. આ નવો દર ₹ 50 લાખ સુધીની જમા રાશિ ધરાવતા ખાતાઓ પર લાગુ થશે.