
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જૂન 2026 ની નાણાકીય નીતિમાં રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટ 5.25 ટકા પર સ્થિર રહેશે. આ સતત ત્રીજી વખત છે જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ એપ્રિલની નીતિ બેઠકમાં પણ વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યા હતા.
રેપો રેટ સિવાય RBI એ અન્ય મુખ્ય નાણાકીય દરોમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) રેટ 5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ અને બેંક રેટ 5.5 ટકા પર સ્થિર છે. આ નિર્ણય દર્શાવે છે કે કેન્દ્રીય બેંક હાલની આર્થિક પરિસ્થિતિમાં સ્થિરતા જાળવવા પર ભાર મૂકી રહી છે.
RBI એ છેલ્લે ડિસેમ્બર 2025 માં વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો. ત્યારે રેપો રેટ 5.5 ટકાથી ઘટાડીને 5.25 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી વ્યાજ દરોમાં કોઈ વધઘટ કરવામાં આવી નથી, જે નાણાકીય બજારમાં સ્થિરતા સૂચવે છે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે વૈશ્વિક આંચકા છતાં ભારતમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારી લક્ષ્યાંક કરતાં નીચે રહી છે. સ્થાનિક બજારમાં ભાવો પર વૈશ્વિક અસર મર્યાદિત જોવા મળી છે. જોકે અંદાજ મુજબ આગામી ત્રિમાસિકમાં મોંઘવારી ધીમે ધીમે વધી શકે છે અને ઉપલા સહિષ્ણુતા સ્તર તરફ જઈ શકે છે.
RBI એ નાણાકીય વર્ષ 2026-27 માટે છૂટક મોંઘવારીનો અંદાજ વધારીને 5.1 ટકા કર્યો છે, જે અગાઉ 4.6 ટકા હતો. સાથે જ ચાલુ નાણાકીય વર્ષ માટે મુખ્ય ફુગાવાનો અંદાજ 4.7 ટકા રાખવામાં આવ્યો છે. આ સુધારેલા અંદાજો દર્શાવે છે કે આવનારા સમયમાં કિંમતોમાં થોડો દબાણ જોવા મળી શકે છે.
RBIના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે હાલ કેન્દ્રિય બેંકનો મુખ્ય ફોકસ વ્યાજ દરોમાં સ્થિરતા જાળવી રાખવાનો છે. આ પગલાંથી લોન બજાર, રોકાણ અને આર્થિક પ્રવૃત્તિઓમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- Gold-Silver Rate Today : આજે કેટલું સસ્તુ થયું સોનું? અમદાવાદ સહિત મોટા શહેરોનો જાણો લેટેસ્ટ ભાવ