
ભારતના નાણાકીય બજારમાં પારદર્શિતા (Transparency) વધારવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ એક નવી વેરિફિકેશન એજન્સી ‘પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન વેરિફિકેશન એજન્સી’ (PaRRVA) શરૂ કરી છે.
આ એજન્સી બજાર સંબંધિત સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા ભૂતકાળના રિટર્નના દાવાઓની સત્યતા તપાસ કરશે. સોમવારે CARE રેટિંગ્સ અને NSE એ સંયુક્ત રીતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે PaRRVA શરૂ કર્યું. આ પહેલ રોકાણકારોને સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવવામાં મદદ કરશે.
લોન્ચ ઇવેન્ટ દરમિયાન SEBI ના ચેરમેન તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે, PaRRVA એક લીડિંગ ફ્રેમવર્ક તરીકે સર્વિસ આપશે. આના દ્વારા સેબી-રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ, રિસર્ચ એનાલિસ્ટ્સ અને એલ્ગોરિધમિક સ્ટોક બ્રોકર્સ તેમના અગાઉના રિટર્નના દાવાઓને તપાસ કર્યા બાદ રોકાણકારો સામે રજૂ કરી શકશે. આનાથી રોકાણકારોને સચોટ અને વિશ્વસનીય ડેટા મળશે.
આ નવી સિસ્ટમથી ફિનફ્લૂએન્સર્સ અને ભ્રામક દાવાઓથી થનારા જોખમોને ઘટાડવામાં આવશે. પાંડેના જણાવ્યા અનુસાર, બજારમાં ઘણા અનરજિસ્ટર્ડ વ્યક્તિઓ અને ફિનફ્લૂએન્સર્સ રોકાણકારોને ખોટા અથવા વધુ રિટર્નના દાવાઓથી આકર્ષિત કરી રહ્યા છે.
પાંડેએ કહ્યું કે, જો રજિસ્ટર્ડ ઇન્ટરમીડીયરી (જેમ કે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર, રિસર્ચ એનાલિસ્ટ) પોતાના તપાસાયેલા ડેટાને રોકાણકારો સુધી પહોંચાડે, તો રોકાણકારો વધુ સચોટ અને યોગ્ય નિર્ણય લઈ શકશે.
નવા માળખા હેઠળ, PaRRVA બે લેવલમાં કામ કરશે:
મહત્વપૂર્ણ વાત એ છે કે, ઇન્ટરમીડીયરીને માત્ર સારા પ્રદર્શનના સમયગાળાને બતાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પાંડેએ જણાવ્યું કે, “રોકાણકારોને એવા આંકડા મળવા જોઈએ, જેમની પર તેઓ વિશ્વાસ કરી શકે.”
એક ‘ઓવરસાઇટ કમિટી’ એજન્સી અને ડેટા સેન્ટર બંનેની દેખરેખ કરશે, જે સુનિશ્ચિત કરશે કે નિયમો-કાયદાનું પાલન થાય તેમજ ડેટાની પ્રાઇવસી જળવાઈ રહે. કાર્યક્રમ સિવાય પાંડેએ જણાવ્યું કે, સેબી શૈક્ષણિક હેતુ માટે ડેટા ઉપયોગના નિયમોમાં બદલાવ કરશે, જેથી હાલ ઉપલબ્ધ લાઇવ ડેટાનો ખોટો ઉપયોગ ન થાય.