
સંસદે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. સરકારે જણાવ્યું છે કે નાણા બિલ, 2025 દ્વારા પેન્શન નિયમોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારના જણાવ્યા મુજબ, પેન્શન સંબંધિત કોઈપણ સુધારા ફક્ત ત્યારે જ લાગુ થશે જ્યારે 8મા પગાર પંચની ભલામણો સરકાર દ્વારા સ્વીકારવામાં આવશે.
દેશભરના કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે નાણા બિલ, 2025ના કારણે પેન્શન નિયમોમાં ફેરફાર થઈ શકે છે. આ મુદ્દે 9 ફેબ્રુઆરી, 2026ના રોજ સંસદના બજેટ સત્ર દરમિયાન લોકસભામાં સ્પષ્ટતા કરવામાં આવી. એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી એ જણાવ્યું હતું કે સરકારનો હાલના પેન્શન માળખામાં ફેરફાર કરવાનો કોઈ ઈરાદો નથી અને પેન્શનરો વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં.
લોકસભામાં પૂછવામાં આવ્યું હતું કે શું કેન્દ્ર સરકારને નાણા બિલ, 2025 દ્વારા પેન્શન નિયમોમાં ફેરફાર કરવાનો અધિકાર મળ્યો છે. આ અંગે નાણા મંત્રાલયે સ્પષ્ટ રીતે જણાવ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પેન્શન સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 2021 મુજબ જ સંચાલિત રહેશે.
સરકારે સમજાવ્યું કે નાણા અધિનિયમ, 2025નો ભાગ-IV માત્ર હાલના પેન્શન નિયમો અને સિદ્ધાંતોને કાયદાકીય માન્યતા આપે છે. ભારતના સંકલિત ભંડોળમાંથી થતી પેન્શન ચુકવણીની પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાગરિક કે સંરક્ષણ પેન્શન ઘટાડવાનો કે બદલવાનો કોઈ નિર્ણય લેવાયો નથી.
સંસદમાં આપેલા જવાબમાં 8મા પગાર પંચની સમયમર્યાદા અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. સરકારે જણાવ્યું કે 8મો કેન્દ્રીય પગાર પંચ ની રચના 3 નવેમ્બર, 2025ના રોજ કરવામાં આવી હતી. પંચને તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
પગાર પંચ એક નિષ્ણાત સંસ્થા હોવાથી, તે પગાર ધોરણ, ભથ્થાં અને પેન્શન અંગે તમામ પાસાઓનું મૂલ્યાંકન કરીને ભલામણો તૈયાર કરશે. સરકારનું કહેવું છે કે પંચનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ અને તેને મંજૂરી મળ્યા પછી જ પેન્શન સુધારા લાગુ કરવામાં આવશે.
31 ડિસેમ્બર, 2025ના રોજ અથવા તે પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને 8મા પગાર પંચના લાભ મળશે કે નહીં, તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારે જણાવ્યું કે પેન્શન સુધારા સામાન્ય આદેશો દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. એકવાર 8મા પગાર પંચનો અહેવાલ સરકાર દ્વારા સ્વીકારવામાં આવશે, ત્યારબાદ પેન્શન સુધારાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
શરદ પવારની તબિયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ, જાણવા માટે અહીં ક્લિક કરો..