કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ 2023-24 રજૂ કર્યું. આ બજેટમાં નાણામંત્રીએ ગોવર્ધન (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ફંડ) યોજનાને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ 500 નવા વેસ્ટ-ટુ-વેલ્થ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાંથી 75 પ્લાન્ટ શહેરોમાં સ્થપાશે. આ સાથે 200 કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ અને 300 કમ્યૂનિટી અથવા ક્લસ્ટર આધારિત પ્લાન્ટ હશે. જેમાં કુલ ખર્ચ રૂ. 10,000 કરોડ થશે.
આપને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગોબર ધન યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ સ્વચ્છતાને પ્રોત્સાહન આપીને ગામડાઓમાં પશુઓના ઓર્ગેનિક કચરામાંથી ધન અને ઊર્જા પેદા કરવાનો છે. આ સાથે આ યોજનાથી ગ્રામજનોની આજીવિકા માટે નવી તકો ઉભી થશે, જેના કારણે તેમની આવકમાં વધારો થશે. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે સરકાર દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે અને એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતીની સુવિધાઓ પૂરી પાડશે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગોબર ધન યોજના દેશના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. તેનો સીધો લાભ ખેડૂતો અને પશુપાલકોને મળશે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ થશે કે તેનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે. આ સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતો પાસેથી ગાયનું છાણ ખરીદશે. આ રીતે ખેડૂતો પાસેથી ગાયનું છાણ ખરીદીને બાયોગેસમાં ફેરવવામાં આવશે.
આ દિવસોમાં ગાયના છાણમાંથી મૂર્તિ બનાવવાનું ચલણ પણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. માટીની તુલનામાં ગાયના છાણમાંથી મૂર્તિ બનાવવાનો ખર્ચ ઓછો છે અને વધુ નફો કમાઈ શકો છો. ગાયના છાણમાંથી મૂર્તિઓ બનાવવા માટે મેક ઈન ઈન્ડિયા, ક્લીન ઈન્ડિયા અને ગ્રીન ઈન્ડિયા અંતર્ગત અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આવા કામમાં મહિલાઓ સક્રિયપણે ભાગ લઈ રહી છે. આ ઉપરાંત વાસણ બનાવવામાં પણ ગાયના છાણનો ઉપયોગ થાય છે.
છાણનો આ પણ એક શ્રેષ્ટ ઉપયોગ છે, જેમાં છાણમાંથી બનાવેલ બાયોગેસ પ્લાન્ટ લગાવીને પણ નફો કમાઈ શકાય છે. તમે પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર તરફથી આર્થિક મદદ પણ મેળવી શકો છો.
ગાયના છાણનો ઉપયોગ અગરબત્તી બનાવવા માટે થાય છે. ઘણી કંપનીઓ પશુપાલકો પાસેથી વાજબી ભાવે ગાયનું છાણ ખરીદે છે અને તેનો ઉપયોગ સુગંધિત અગરબત્તીઓ બનાવવા માટે પણ કરે છે.