નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે સંસદમાં કેન્દ્રીય બજેટ 2023 રજૂ કર્યું હતું. આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. સરકારની જાહેરાત બાદ વિદેશી રમકડાં મોંઘા થશે, એક સમયે 3000 કરોડ આસપાસ રમકડાં આયત થતા હતા. આ કારણે સ્થાનિક નિર્માતા અને કારીગરોને ભારે નુકસાન સહન કરવું પડતું હતું. બુધવારે સરકારે રમકડાં અને તેના પાર્ટસ અને એસેસરીઝ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી વધારીને 70 ટકા કરી દીધી છે. આ પહેલનો ઉદ્દેશ્ય આ ઉત્પાદનોની આયાત ઘટાડવાનો અને સ્થાનિક ઉત્પાદન પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે.
ક્વોલિટી કંટ્રોલ, સરકારી પ્રયાસો અને રમકડા ઉદ્યોગ સાહસિકોના હૃદયમાં આત્મનિર્ભર બનવાની ઇચ્છાએ સમગ્ર રમકડા ઉદ્યોગનું દૃશ્ય બદલી નાખ્યું છે. માત્ર ત્રણ-ચાર વર્ષ પહેલા સુધી ભારતમાં વેચાતા 85 ટકા રમકડાં આયાત થતા હતા અને હવે ભારત સરકારના પ્રયાસોથી સ્થિતિ બદલાઈ છે. અમેરિકા, યુરોપ, જાપાન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોના બાળકો ભારતીય રમકડાં સાથે રમે છે. ભારતીય રમકડા ઉત્પાદકો વૈશ્વિક રમકડાની બ્રાન્ડના મુખ્ય ઉત્પાદકો તરીકે કામ કરી રહ્યા છે.
સાયકલ પરની આયાત ડ્યુટી પણ 30 ટકાથી વધારીને 35 ટકા કરવામાં આવી છે એમ બજેટ દસ્તાવેજમાં જણાવાયું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રમકડાં અને તેના પાર્ટ્સ અને મટિરિયલ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારામાં ઈલેક્ટ્રોનિક રમકડાં સામેલ નથી. અગાઉ, ફેબ્રુઆરી 2020 માં, સ્થાનિક સ્તરે રમકડાંના ઉત્પાદનને વેગ આપવા માટે રમકડાં પરની બેઝિક કસ્ટમ ડ્યુટી 20 ટકાથી વધારીને 60 ટકા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે એક સમયે દેશમાં 2,960 કરોડ રૂપિયાના રમકડાની આયાત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે 2021-22માં આયાત ઘટીને 870 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ, રમકડાંની નિકાસ 2021-22માં 61 ટકા વધીને રૂ. 2,601 કરોડ થઈ છે.
તમને જણાવી દઈએ કે ઈમ્પોર્ટ ડ્યુટી એ ટેક્સ છે જે કોઈ દેશના કસ્ટમ અધિકારીઓ તે દેશમાં બીજા દેશમાંથી આવતા ઈમ્પોર્ટેડ સામાન પર વસૂલ કરે છે. આયાત શુલ્કની રકમ માલ કયા દેશનો છે અને અન્ય ઘણા પરિબળો પર આધાર રાખે છે. તેને કસ્ટમ ડ્યુટી, ટેરિફ, આયાત કર અથવા આયાત ટેરિફ પણ કહેવામાં આવે છે.