
દર વર્ષે 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો પર્વ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં લગભગ દરેક વ્રત કે ઉત્સવ ચંદ્રની તિથિના આધારે ઉજવવામાં આવે છે. જેમ કે પૂનમ, ચોથ અને અમાસ. માત્ર મકરસંક્રાંતિ જ એક એવો પર્વ છે જે સૂર્યની રાશિના પરિવર્તન પ્રમાણે ઉજવવામાં આવે છે પણ આ વર્ષે ઉત્તરાયણને લઇને ઘણી અસમંજસ છે. તો ચાલો એ વિશે આપને માહિતગાર કરીએ. જાણીએ કે આ વખતની સંક્રાંતિનું સ્વરૂપ કેવું છે ? તેની લોકો પર શું અસર થશે ? અને દાન-ધર્મ માટેનો શ્રેષ્ઠ પુણ્યકાળ કયો છે ?
મકરસંક્રાંતિ ક્યારે ?
જાણીતા જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ પી.લાઠિયાના જણાવ્યા અનુસાર સૂર્ય નારાયણ દેવનો મકર રાશિમાં પ્રવેશ તા. ૧૪/૧/૨૩ શનિવારના રોજ, એટલે કે આજે રાત્રે ૮:૪૬ કલાકે થશે. અર્થાત્ આ સમયે જ ધનારક (કમુહૂર્તા) પૂર્ણ થશે અને મકરસંક્રાંતિનો પ્રારંભ થશે.
સંક્રાંતિનો પુણ્યકાળ !
મકરસંક્રાંતિનો પ્રારંભ રાત્રિએ થઈ રહ્યો છે. પરંતુ, દાન-ધર્મનો મહિમા સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે સવિશેષ હોય છે. માટે આ સંક્રાંતિના સમયમાં પુણ્યકાળ તા.૧૫/૧/૨૩ ના રોજ સવારે ૭:૨૫ થી સાંજે ૫:૨૫ સુધીનો રહે છે. જેમાં યથાશક્તિ દાન કરવું સૌથી શ્રેષ્ઠ ગણાય છે. માટે જો આપ કંઈ દાન કરવા માંગતા હોવ તો તે રવિવારે આ પુણ્યકાળ દરમિયાન કરવું જ સૌથી શ્રેષ્ઠ રહેશે.
સંક્રાંતિનું રૂપ !
આ વખતે મકર સંક્રાંતિનું વાહન સિંહ છે. તેણે પીળા વસ્ત્ર ધારણ કરેલા છે. તેના હાથમાં ગદા છે અને કપાળમાં કેસરનું તિલક છે. ૩૦ મુહૂર્તની સંક્રાંતિ છે. ચિત્રા નક્ષત્ર અને કન્યા રાશિ છે
શું થશે અસર ?
સોનુ, હળદર, ચણા, સોયાબીન, મકાઈ, સરસવ મોંઘા થઈ શકે છે. વરસાદ મધ્યમ રહે. શાસક વર્ગમાં ઉશ્કેરાટ રહે, પરંતુ, પ્રજામાં મધ્યમ સુખાકારી જણાય.
વર્ષમાં 12 સંક્રાંતિ !
જ્યોતિષીઓના મત અનુસાર સૂર્ય જ્યારે રાશિ પરિવર્તન કરે છે, એટલે કે એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે, તો તેને સંક્રાંતિ કહેવાય છે. સૂર્ય દર 30 દિવસે રાશિ બદલે છે. એ રીતે એક વર્ષમાં સૂર્ય 12 રાશિઓ બદલે છે ! સૂર્ય જ્યારે ધન રાશિમાં પ્રવેશ કરે છે, તો ધનસંક્રાંતિ થાય છે. સૂર્ય જ્યારે સિંહ રાશિમાં પ્રવેશ કરે છે તો તેને સિંહસંક્રાંતિ કહેવાય છે. એ જ રીતે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તો તે મકરસંક્રાંતિ તરીકે ઓળખાય છે.
મકરસંક્રાંતિનું આટલું મહત્વ કેમ ?
જ્યોતિષીઓ અનુસાર સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ તરફ તેનું વર્ચસ્વ રહે છે. જેને લીધે દિવસો લાંબા થવા લાગે છે અને રાત્રિ ટૂંકી થવા લાગે છે. સૂર્યની આ સ્થિતિ ખૂબ શુભ માનવામાં આવે છે. કારણ કે, સૂર્યના પ્રકાશથી જ અનાજ પાકે છે અને પાણીનું બાષ્પીભવન ઝડપી બને છે. જેને લીધે વરસાદ રૂપે તે પાણી ફરીથી ધરતીને પ્રાપ્ત થાય છે. આ જ કારણોને લીધે મકરસંક્રાંતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ઉત્તરાયણ શા માટે ?
ગુજરાતમાં મકરસંક્રાંતિનો પર્વ એ સવિશેષ તો ઉત્તરાયણના નામે જ પ્રસિદ્ધ છે. ઉત્તરાયણ સૂર્યની એક સ્થિતિ છે. જ્યોતિષીઓ અનુસાર સૂર્ય જ્યારે દક્ષિણ ગોળાર્ઘની તરફ ગતિ કરતો હોય તેવું લાગે ત્યારે તે સ્થિતિને દક્ષિણાયન કહે છે અને જ્યારે સૂર્ય ઉત્તર ધ્રુવની તરફ ગતિ કરતો હોય તેવું લાગે ત્યારે તે સ્થિતિને ઉત્તરાયણ કહેવાય છે. ઉત્તરાયણને દેવતાઓનો દિવસ પણ માનવામાં આવે છે. ધર્મગ્રંથોમાં ઉત્તરાયણને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવ્યો છે. બાણશૈય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહે સૂર્યના ઉત્તરાયણ થવા પર જ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)
Published On - 5:44 am, Sat, 14 January 23