એ શ્રાપ કે જેનાથી પોતાના પરમ સખા શ્રીકૃષ્ણને બચાવવા ખુદ દરિદ્ર થયા સુદામા ! મૈત્રી દિવસે જાણો મિત્રતાની અદભૂત કથા

બ્રહમજ્ઞાની સુદામાજી જાણી ગયા હતા એ શ્રાપ કે જે દરિદ્ર બાહ્મણીએ આપ્યો હતો. આ એ શ્રાપ હતો કે જેનાથી ભગવાન કૃષ્ણને બચાવવા ખુદ સુદામાજી આરોગી ગયા ચણા. અને સમયના વ્હાણા વિતી ગયા અને દરિદ્ર બ્રાહ્મણીનો શ્રાપ અક્ષરસ: સાચો સાબિત થયો.

એ શ્રાપ કે જેનાથી પોતાના પરમ સખા શ્રીકૃષ્ણને બચાવવા ખુદ દરિદ્ર થયા સુદામા !  મૈત્રી દિવસે જાણો મિત્રતાની અદભૂત કથા
શ્રીકૃષ્ણ અને સુદામાની અજોડ જોડી !
| Edited By: | Updated on: Aug 01, 2021 | 3:16 PM

આજે ફ્રેન્ડશીપ (FRIENDSHIP) ડે છે. આજના દિવસે આપણે સૌ આપણા મિત્રોને શુભકામના પાઠવીએ છીએ. હંમેશા સૌ ઈચ્છે કે તેમની મૈત્રી કૃષ્મ સુદામા જેવી હોય. કે જ્યાં કોઈ નાત-જાત, અમીર-ગરીબ, રાજા-રંક ન હોય. અને મિત્રતામાં તો સૌ સરખાં હોય. આપણે સૌ આજે પણ આ બે સખાઓની વાત કરીએ છીએ, જેમની મિત્રતાના કિસ્સા આજે યુગો પછી પણ આપણે આપીએ છીએ. કારણકે કૃષ્ણ અને સુદામાની જોડી તો અજોડ છે.

આપ અવશ્ય જાણતા હશો કે સાંદિપની આશ્રમમાં સાથે અભ્યાસ કરતાં શ્રીકૃષ્ણ અને સખા સુદામા એક વાર જંગલમાં લાકડાં કાપવા જાય છે અને ગુરુમાએ બંન્ને મિત્રો માટે સાથે આપેલા ચણા ફક્ત સુદામાજી જ આરોગી જાય છે. ત્યારબાદ સુદામાજીની સર્જાયેલી દારૂણ પરિસ્થિતીથી લઈ એક તાંદુલની પોટલી લઈ દ્વારકા જવા નીકળેલા સુદામાજીની વાર્તા અને ભગવાને સુદામાજીની ઝુંપડીને રત્નમહેલ બનાવી દીધા સુધીની કઈં કેટલીયે કથા આપણે સતત લોકમુખે સાંભળતા આવ્યા છીએ. પરંતુ આજે તો અમારે તમને જણાવવી છે એક એવી કથા કે જેની પાછળ છુપાયેલો છે સુદામાનો સખા કૃષ્ણ પ્રત્યેનો અતૂટ પ્રેમ.

આ તો મિત્રતાની એવી કથા કે જ્યાં, પોતાના સખાને એક શ્રાપથી બચાવવા સુદામા જાણી જોઈને થયા દરિદ્ર. આજે અમે આપને જણાવીશું કે કેમ એકલા જ ચણા આરોગી ગયા સુદામાજી ? શું સુદામા જાણતા હતા કે ચણા ખાવાથી તેઓ એ આખીયે જિંદગી દારુણ દરિદ્રતામાં પસાર કરવી પડશે ?

પ્રચલિત કથા કંઈક એવી છે કે ગુરુ સાંદીપનિના આશ્રમની નજીકના જ એક ગામમાં એક અત્યંત દરિદ્ર બ્રાહ્મણી રહેતી હતી. તે ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતી. એકવાર સળંગ ચાર દિવસ સુધી તેને ભિક્ષામાં કશું જ ન મળ્યું. પાંચમા દિવસે તેને ભિક્ષામાં ચણા મળ્યા. તેણે સંકલ્પ કર્યો કે તે બીજા દિવસે વાસુદેવને ભોગ લગાવ્યા બાદ તે ચણા ગ્રહણ કરશે. પણ, મધરાતે જ બે ચોર પોટલીમાં કંઈ સુવર્ણ હશે તેમ માની તે ચોરી ગયા. બ્રાહ્મણીએ ચોર-ચોરની બૂમો પાડી. ગભરાયેલા ચોર ગુરુ સાંદીપનિના આશ્રમમાં છુપાઈ ગયા. થોડીવારમાં તેઓ ત્યાંથી પણ ભાગ્યા.

અલબત્ ચણાની પોટલી આશ્રમમાં જ પડી ગઈ. જે ગુરુમાતાના હાથમાં આવી. અને આ જ પોટલી ગુરુમાતાએ લાકડાં કાપવા જતાં સુદામાના હાથમાં મુકી. પોટલીને હાથમાં લેતાં જ બ્રહ્મજ્ઞાની સુદામાએ એ શ્રાપને જાણી લીધો કે સતત પાંચ દિવસથી ભૂખથી ટળવળતી એક દરિદ્ર બ્રાહ્મણીએ આપ્યો હતો. દરિદ્ર બ્રાહ્મણીએ શ્રાપ આપ્યો હતો કે “જે પણ એ ચણા ખાશે, તેને મારાથીયે દારુણ દરિદ્રતામાં દિવસો પસાર કરવા પડશે !”

પોતાના પરમ સખાને આવું દુ:ખ સાંપડે એ વાત ભલાં સુદામાથી કેવી રીતે સહન થાય. રખેને કૃષ્ણ તેમાંથી એક પણ દાણો ખાઈ લે તો ! એ જ બીકે સુદામા બધાં ચણા પોતે જ ખાઈ ગયા. સમયના વ્હાણા વિતી ગયા અને દરિદ્ર બ્રાહ્મણીનો શ્રાપ અક્ષરસ: સાચો સાબિત થયો.

આ પણ વાંચો: કન્યા ‘વિદાય’ સમયે કેમ પાછળ ફેંકે છે ચોખા ? જાણો, રસપ્રદ વિધિ પાછળનો ગૂઢાર્થ

આ પણ વાંચો: અહીં ચંપલની માળા લઈને ભક્તો આવે છે મંદિરે ! જાણો મનશાપૂર્તિની સૌથી રસપ્રદ પ્રથા !

Follow Us
Loading...
Unable to load recommendations.