
વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને ધન, સમૃદ્ધિ, ઐશ્વર્ય, પ્રેમ, સુંદરતા અને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે. 2 સપ્ટેમ્બર, 2026ના રોજ શુક્ર પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરશે. શુક્રનું પોતાની રાશિમાં ગોચર શક્તિશાળી માનવામાં આવે છે અને જ્યોતિષીય માન્યતા અનુસાર તેની શુભ અસર અનેકગણી થઈ શકે છે.
તુલા રાશિમાં શુક્રના પ્રવેશથી માલવ્ય રાજયોગ બનશે. જ્યોતિષીય માન્યતા મુજબ આ યોગ કલા, મીડિયા, ફેશન, વ્યવસાય, સંબંધો અને નાણાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ આપી શકે છે. ખાસ કરીને તુલા અને મકર રાશિના જાતકો માટે આ ગોચર અનુકૂળ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તુલા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે શુક્ર તુલાનો સ્વામી છે. આ સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વમાં વધારો થઈ શકે છે. વ્યવસાયમાં નવા અવસર મળવાની સાથે નાણાકીય લાભની શક્યતા છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધે અને ભાગીદારીના કામમાં સફળતા મળી શકે છે.
મકર રાશિના જાતકો માટે શુક્ર દસમા ભાવમાં ગોચર કરશે. જ્યોતિષીય માન્યતા અનુસાર આ ગોચર કારકિર્દી માટે શુભ બની શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન, પગાર વધારો અથવા નવી નોકરીની તક મળી શકે છે. આ સાથે વાહન, મિલકત અથવા મોંઘી ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવાની ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થવાની શક્યતા છે.
જ્યોતિષીય માન્યતા અનુસાર શુક્રવારે શુક્ર મંત્રનો 108 વખત જાપ કરવો શુભ માનવામાં આવે છે. જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખા, ખાંડ, દૂધ, સફેદ વસ્ત્રો અથવા ખીરનું દાન કરી શકાય છે. આ ઉપરાંત દેવી લક્ષ્મીને કમળ અથવા ગુલાબી ફૂલ અર્પણ કરીને કપૂરથી આરતી કરવાથી પણ શુક્રની કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે.
નોંધ- જ્યોતિષમાં ગ્રહોના ગોચર અને રાજયોગ અંગે કરવામાં આવતી આગાહીઓ ધાર્મિક-જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે. તેને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી ભવિષ્યવાણી તરીકે ન લેવી.
આ પણ વાંચો- ઘરમાં ઉંદરોનું અચાનક વધવું શુભ છે કે અશુભ? શકુન શાસ્ત્રનો આ ઈશારો બદલી શકે છે ‘તમારું ભાગ્ય’
Published On - 7:42 am, Mon, 31 August 26