અષાઢી બીજનો દિવસ ખૂબ જ નજીકમાં છે. આ દિવસે જગન્નાથ પુરીમાં આખી દુનિયામાં જાણીતી એવી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, ત્યારે રથયાત્રા પહેલા પુરીથી ભક્તો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાકાળથી જગન્નાથ મંદિરમાં બંધ રાખેલા ત્રણ કપાટ સહિત આજે ચારેય કપાટ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. કોરોના સમયગાળાથી બંધ ત્રણ દરવાજા આજે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં ખોલવામાં આવ્યા છે.
મંદિરના ચારેય દરવાજા ખોલ્યા અને પૂજા કર્યા પછી, ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીએ કહ્યું, “અમે ગઈ કાલે કેબિનેટની બેઠકમાં જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઠરાવ પસાર કરવામાં આવ્યો અને આજે સવારે 6:30 વાગ્યે મેં મારા ધારાસભ્યો અને પુરીના સાંસદ (સંબિત પાત્ર) સાથે ‘મંગલા આરતી’માં હાજરી આપી… અને ચારેય દરવાજા ખોલવામાં આવ્યા.
અત્યાર સુધી ભક્તો જગન્નાથ મંદિરમાં એક જ દ્વારથી પ્રવેશ કરી શકતા હતા. મંદિરના ચારેય દરવાજા ખોલવાનો નિર્ણય સીએમ મોહન ચરણ માઝીએ ઓડિશામાં ભાજપની સરકાર બન્યાની સાથે જ પ્રથમ કેબિનેટ બેઠકમાં લીધો હતો.જગન્નાથ મંદિરના વિકાસ અને અન્ય કામો માટે અમે કેબિનેટમાં ફંડની દરખાસ્ત કરી છે.સીએમ મોહન ચરણ માઝીએ કહ્યું, જ્યારે અમે રાજ્યનું આગામી બજેટ રજૂ કરીશું ત્યારે મંદિરના સંચાલન માટે 5 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવીશું.
આ પહેલા ઓડિશાના મંત્રી સૂર્યવંશી સૂરજે કહ્યું કે ચૂંટણી દરમિયાન અમે કહ્યું હતું કે તમામ 4 દરવાજા ફરીથી ખોલવામાં આવશે.ત્યારે મંદિરના ચારેય દ્વાર આજે ખુલવાના છે. મંત્રી પરિષદના તમામ સભ્યો અહીં હાજર છે. સીએમ પણ હાજર છે. વિકાસ પરિયોજનાઓ માટે 500 કરોડ રૂપિયાના કોર્પસ ફંડની પણ જાહેરાત કરવામાં આવી છે. અમે ગઈકાલે શપથ લીધા હતા અને આજે અમે દરવાજા ખોલી રહ્યા છીએ.
મહત્વનું છે કે મોહન ચરણ માઝીએ ઓડિશાના સીએમ તરીકે શપથ લીધા. તેમની સાથે બે ડેપ્યુટી સીએમ અને 13 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. શપથ બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં ચાર પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે. આ દરખાસ્તોમાં ભગવાન જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલવા, મંદિર માટે રૂ. 500 કરોડનું ભંડોળ ફાળવવું, 100 દિવસમાં સુભદ્રા યોજના લાગુ કરવી અને ડાંગરની MSP રૂ. 3,100 પ્રતિ ક્વિન્ટલ રાખવાનો સમાવેશ થાય છે.
કેબિનેટે પુરી શ્રી જગન્નાથ મંદિર માટે રૂ. 500 કરોડના કોર્પસ ફંડને પણ મંજૂરી આપી છે. ભાજપે ઓડિશા વિધાનસભા ચૂંટણી 2024માં સુભદ્રા યોજના લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ યોજનાને કેબિનેટમાં પણ મંજૂરી આપવામાં આવી છે. સુભદ્રા યોજના હેઠળ દરેક મહિલાને 50,000 રૂપિયાનું કેશ વાઉચર આપવામાં આવશે. આ વાઉચરની સમય મર્યાદા બે વર્ષ માટે હશે. તેને બે વર્ષમાં રોકડ કરી શકાય છે. આ ઉપરાંત ખેડૂતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને ડાંગરની MSP વધારીને 3100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.