સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે માઘી પૂર્ણિમા ! જાણો કેવી રીતે થશે વિશેષ લાભની પ્રાપ્તિ ?

માઘ મહિનો એ કારતક મહિના સમાન જ પુણ્યદાયી અને દરેક કષ્ટને હરનાર છે. દરેક યુગમાં માઘ માસની પૂનમનું મહત્વ દર્શાવાયું છે. આ ફળદાયી પૂર્ણિમા પર આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ સર્જાયો છે. જે ભક્તોને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનાર મનાય છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે માઘી પૂર્ણિમા ! જાણો કેવી રીતે થશે વિશેષ લાભની પ્રાપ્તિ ?
માઘી પૂર્ણિમા
| Edited By: | Updated on: Feb 15, 2022 | 6:42 AM

માઘ માસની પૂનમને માઘી પૂર્ણિમા (magha purnima)ના નામે ઓળખવામાં આવે છે. આ વખતે આ તિથિ 16 ફેબ્રુઆરી, બુધવારે છે. ધર્મ ગ્રંથો અને પુરાણોના આધારે સતયુગથી લઇને કળિયુગ સુધી દરેક યુગમાં માઘ માસની પૂનમનું ખૂબ મહત્વ દર્શાવેલું છે. એમાં પણ આ વખતે આ પૂનમ પર સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ સર્જાયો છે. જે સવિશેષ ફળદાયી મનાય છે.

માઘ મહિનો એટલે કે મહા મહિનો એ કારતક મહિના સમાન જ પુણ્યદાયી અને દરેક કષ્ટોને હરનાર છે. માન્યતા અનુસાર માઘ માસમાં શ્રીહરિ જળમાં નિવાસ કરે છે. માઘ માસની પૂનમના દિવસે દેવલોકથી દરેક દેવતા પૃથ્વી પર આવીને પવિત્ર નદીઓ અને સંગમ સ્થાનમાં સ્નાન કરે છે. તેનું એકમાત્ર કારણ એ છે કે આ દિવસે ચંદ્રના કિરણોમાંથી અમૃતની વર્ષા થાય છે. તેનાથી સૂર્યોદય સમયે સ્નાન કરવાથી રોગ અને પાપ બંનેનો ક્ષય થાય છે.

માઘી પૂનમનું મહત્વ ત્રેતા યુગમાં પણ આવું જ હતું. રામને વનવાસ મોકલવાથી નારાજ થયેલ ભરતજીએ પોતાની માતા કૈકેયીને શાપ આપ્યો હતો કે તેમને માઘી પૂર્ણિમાના સ્નાન, દાનનું પુણ્ય પ્રાપ્ત નહીં થાય. પુરાણોમાં વર્ણવ્યા અનુસાર જે વ્યક્તિ સંપૂર્ણ માઘ મહિનામાં સવારે સ્નાન નથી કરી શકતા તે પોતે માત્ર તેરસથી લઇને પૂર્ણિમા સુધી સવારે સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરે તો તેમને સંપૂર્ણ મહિનાના માઘ સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

માઘી પૂર્ણિમાના દિવસે જે વ્યક્તિ સૂર્યોદયથી પહેલા સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને તલનો પ્રસાદ, તલના તેલનો દીવો અને તલથી હવન કરે છે તેને તો ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવા વ્યક્તિઓ પુણ્યના પ્રભાવને લીધે સ્વર્ગમાં સ્થાન મેળવે છે. આવનાર જન્મમાં ધનવાન કુળમાં જન્મ લઇને તમામ સુખ સંપત્તિનો આનંદ પ્રાપ્ત કરે છે.

સંત રવિદાસજીનો જન્મ પણ માઘી પૂનમે થયો હતો. આ સંતે દુનિયાને સમજાવ્યું કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. એટલે કે મન સાફ છે તો છળ અને કપટ હૃદયમાં નહીં રહે. જે વ્યક્તિ પોતાના કર્મને પ્રામાણિકપણે પૂર્ણ કરતા હોય છે તેમણે ગંગામાં ડુબકી લગાવવાની જરૂર નથી તેમને તો ગંગા સ્નાન જેટલું પુણ્ય એમ જ મળી જશે. દેવી ગંગાને સ્વયં તેમના ઘરમાં પ્રગટ થઇ આ વાતનું પ્રમાણ આપ્યું હતું.

આ વસ્તુઓનું કરો દાન

આ વર્ષે માઘ માસની પૂનમ 16 ફેબ્રુઆરી, બુધવારના દિવસે છે. માઘી પૂર્ણિમાના દિવસે સૂર્યોદય સમયે સર્વાર્થ સિદ્ધિ નામનો શુભ યોગ બનવાનો છે. કહે છે કે આ યોગમાં કરેલું સ્નાન કર્મ તેમજ દાન કર્મ સવિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવશે. એટલે આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરીને ધાબળા, તલ, તેલ, ગોળ, કપડાં, પગરખા દાન કરવા અત્યંત ફળદાયી મનાય છે.

આ પણ વાંચો : ભારતના આ ગામમાં કષ્ટભંજક હનુમાનની પુજા છે મોટો અપરાધ, જાણો શું છે કારણ

આ પણ વાંચો : સૂર્યદેવને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલો, રાખો આ વાતોનું ખાસ ધ્યાન