
પેટ્રોલ પંપ પર ગાડી ઉભી રહે છે અને તમે આરામથી પેટ્રોલ ભરાવી લો છો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પેટ્રોલ બદલાવાથી તમારી ગાડી પર શું અસર થઈ રહી છે? સરકારે દેશભરમાં ઇથેનોલ બ્લેન્ડિંગ વાળું E20 પેટ્રોલ ફરજિયાત કરી દીધું છે. સરકારનું કહેવું છે કે તેનાથી ક્રૂડ ઓઈલની આયાત ઘટશે, પ્રદૂષણ ઓછું થશે અને ખેડૂતો મજબૂત બનશે. પરંતુ આ બધાની વચ્ચે કરોડો વાહન માલિકોના મનમાં એક જ સવાલ છે કે જો આ નવો ફેરફાર આટલો જ સારો છે તો બજારમાંથી જૂના અને સુરક્ષિત ગણાતા E5 કે E10 પેટ્રોલના વિકલ્પો કેમ ગાયબ કરી દેવામાં આવ્યા?
ગ્રાહકોને પોતાની ગાડીના એન્જિન પ્રમાણે ઇંધણ પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ. હાલમાં અનેક વાહન ચાલકો ફરિયાદ કરી રહ્યા છે કે E20 પેટ્રોલના કારણે તેમની ગાડીનું માઇલેજ ઘટી ગયું છે અને મેન્ટેનન્સનો ખર્ચ વધી ગયો છે. ખાસ કરીને જે ગાડીઓ એપ્રિલ 2023 પહેલા ખરીદવામાં આવી હતી તે આ નવા પેટ્રોલ માટે તૈયાર નથી.
ઇથેનોલ વાપરવામાં દુનિયાના અન્ય દેશો ભારત કરતાં ઘણા આગળ છે પરંતુ તેઓ ગ્રાહકો પર નિયમો થોપતા નથી:
તેલ કંપનીઓ એવી દલીલ કરી શકે છે કે જો E5, E10 અને E20 બધા જ પેટ્રોલ સાથે વેચવામાં આવે તો અલગ સ્ટોરેજ અને સપ્લાય ચેન બનાવવી પડે જેથી ખર્ચ વધે. પરંતુ આ દલીલ યોગ્ય લાગતી નથી કારણ કે અત્યારે પણ બજારમાં સામાન્ય પેટ્રોલ સિવાય એક્સપી95, સ્પીડ કે પાવર જેવા પ્રીમિયમ હાઈ ઓક્ટેન પેટ્રોલ વેચાય જ છે જેના માટે કંપનીઓ અલગ વ્યવસ્થા રાખે જ છે. જો પ્રીમિયમ પેટ્રોલ માટે અલગ નોઝલ અને ટાંકી બની શકતી હોય તો સામાન્ય લોકોની જૂની ગાડીઓ બચાવવા માટે E5 કે E10 નો વિકલ્પ કેમ ન આપી શકાય?
જ્યારે ફ્રાન્સમાં ઇથેનોલનું પ્રમાણ વધારવામાં આવ્યું ત્યારે સરકારે જૂની ગાડીઓને કન્વર્ટ કરવા માટે ખાસ કન્વર્ઝન કીટને કાયદાકીય મંજૂરી આપી હતી. ભારતમાં પણ શુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને આવી કીટનું ટેસ્ટિંગ કર્યું છે જે BS4 અને BS6 વાહનો માટે સફળ રહ્યું છે. જો સરકાર આ કીટનું સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારે અને કિંમત ઓછી રાખે, તો જૂની ગાડીઓ ધરાવતા કરોડો મધ્યમવર્ગીય પરિવારોને મોટું નુકસાન થતાં બચાવી શકાય તેમ છે.