વડોદરામાં આંગણવાડીના (Aganvadi) બાળકોને એક્સપાયરી ડેટવાળા (Expiry date) ફૂડ પેકેટ આપવા મામલે (VMC)ના (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન) અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે ICDS વિભાગના અધિકારીઓએ એક્સપાયરી ડેટવાળું ફૂડ ખાવાને કારણે બાળકીને ફૂડ પોઈઝનિંગ થયું હોવાના પરિવારજનોના દાવાને નકાર્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે 10 વર્ષીય દિયા પરમાર નામની દીકરીને ફૂડ પોઈઝન નહીં, પરંતુ માત્ર તાવ (Fever) હોવાનું તબીબી પરિક્ષણમાં સામે આવ્યું છે. વળી જેમાં છઠ્ઠા મહિનાની એક્સપાયરી ડેટ લખી છે તે ડેટવાળા આહારના પેકેટનું માર્ચમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી દ્વારા દરેક લાભાર્થીને 7 ફૂડ પેકેટ આપવામાં આવે છે. ત્યારે લાભાર્થીના ઘરમાંથી જુલાઈ મહિનામાં વિતરણ કરાયેલા બાલશક્તિ આહારના પેકેટ પણ મળી આવ્યા છે. આથી બની શકે કે દીકરીના વાલી દ્વારા જ એક્સપાયરી થયેલા પેકેટમાંથી બાળકીને ફૂડ આપ્યું હોય કેમકે અન્ય 500 જેટલા પરિવારોમાં પણ બાલશક્તિ આહાર પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ પરિવારમાંથી આ પ્રકારની ફરિયાદ નથી આવી. જો કે, તપાસ બાદ પણ પરિવારજનો પોતાના આક્ષેપ પર અડગ છે.
પરિવારજનોનો દાવો છે કે એક્સ્પાયરી ડેટવાળા ફૂડ પેકેટના કારણે જ તેમની બાળકી બીમાર પડી છે તો આ સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અમી રાવતે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે આ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ અને જો અધિકારીઓ જવાબદાર હોય તો તેની સામે પગલાં ભરવા જોઈએ.
Published On - 11:34 pm, Sat, 6 August 22