સાબરકાંઠાના હિંમતનગરમાં વીજ થાંભલો પડતા UGVCL ના એક મહિલા કર્મચારીનુ મોત થયુ છે. ભારે પવનને કારણે રસ્તા પરનો થાંભલો મહિલા પર પડ્યો હતો. મહત્વનું છે કે ઘટના દરમિયાન મહિલા એક્ટિવા પર સવાર હતી.મહિલાને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.જે બાદ તેને સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી,જ્યાં તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી. સમગ્ર પરિવારમાં હાલ શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
તો બીજી તરફ કચ્છના રાપરમાં કમોસમી વરસાદ આફત લઈને આવ્યો. બે દિવસ પહેલા જાટાવાડના કાઢીધાર વાંઢમાં કમોસમી વરસાદ સાથે વીજળી પડતા એક આશાસ્પદ યુવકનુ મોત થયુ છે. મહત્વનું છે કે ભરઉનાળે વીજળીના કારણે યુવકનુ મોત થતા હાલ પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 24 કલાક બાદ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થશે. જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે.તો દિવસ દરમિયાન લોકોને ભારે બફારાનો પણ અનુભવ થશે.
Published On - 6:41 am, Tue, 7 March 23