સુરતમાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ ટિકિટ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ કહયુ જો કોંગ્રેસ ટિકિટ આપશે તો લડીશ. તુષાર ચૌધરીએ ટિકિટને લઇ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં મે ટિકિટની માગ કરી નથી પરંતું જો મને કોંગ્રેસ ટિકિટ આપશે તો હું મજૂરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીશ. સાથે સાથે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધન અંગે પણ તુષાર ચૌધરીએ સ્પષ્ટતા કરી અને કહ્યું કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત તદ્દન ખોટી છે.
તુષાર ચૌધરીએ TV9 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે હાલમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા દક્ષિણ ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે જંબુસરથી શરૂ કરીને સુરત અને વલસાડ પહોંચી છે. એ યાત્રાનું ઉમરગામ વિધાનસભામાં સમાપન કરવામાં આવ્યુ છે. જેમા 32 જેટલી વિધાનસભાઓમાં એ યાત્રા ફરશે. તુષાર ચૌધરીએ જણાવ્યુ કે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાને જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઠેર-ઠેર સ્વાગત થઈ રહ્યા છે. નાની મોટી સભાઓ અને મિટિંગો થઈ રહ્યો છે. તેમણે કહ્યુ કે લોકોનો આ વખતેનો મિજાજ જ બતાવે છે કે લોકોને હવે પરિવર્તન જોઈએ છે.
બીજા પક્ષમાંથી ટિકિટ માગવા અંગે તેમણે જણાવ્યુ કે આ વખતે મે કોઈપણ જગ્યાએથી ટિકિટની દાવેદારી નોંધાવી નથી. તેમણે કહ્યુ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છુ, પાર્ટી આદેશ કરશે તો મજૂરા વિધાનસભા પરથી લડશે
ઈનપુટ ક્રેડિટ- બળદેવ સુથાર- સુરત