લોકો ધાર્મિક યાત્રાના નામે પણ લાખોની ઠગાઈ કરતા અચકાતા નથી. તાજેતરમાં સુરતમાં શ્રવણ તીર્થ યાત્રાના નામે છેતરપીંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. 500થી વધુ મહિલાઓ પાસેથી રૂપિયા લઇ તીર્થ યાત્રા ન કરાવીને છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મુદ્દે ભાજપ મહિલા કાર્યકરના પુત્ર અજય લુણાગરિયા છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપી અજય લુણાગરિયા વૉર્ડ નંબર 15ની મહિલા મોરચાની કારોબારી સભ્યનો પુત્ર છે.આપને જણાવી દઈએ કે, 500થી વધુ ભોગ બનેલી મહિલાઓ અને વૃદ્ધોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અજયે અન્ય લોકોને પણ છેતરપિંડીના શિકાર બનાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ પહેલા જામનગર શહેરમાં 1 હજાર જેટલા લોકોને ધાર્મિક યાત્રામાં હરિદ્વાર લઈ જવાનું કહીને છેતરપીંડી આચરી હોવાની ઘટના સામે આવી હતી. ભાવનાબેન નામના આયોજક દ્વારા 1 હજારથી વધુ લોકો પાસે 3100 રૂપિયા ઉઘરાવીને હરિદ્વાર કથામાં લઈ જવાનું આયોજન કરાયું હતું. બાદમાં ટ્રેનમાં ટિકીટ ના મળતી હોવાના બહાના બતાવી યાત્રા રદ કરી નાખી. તેમજ રિફંડ આપવા માટે પણ ઠાગાઠૈયા કરતા ભોગ બનેલા લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
(વીથ ઈનપૂટ- બલદેવ સુથાર, સુરત)
Published On - 1:31 pm, Thu, 2 February 23