Surat: રખડતા ઢોર મામલે તંત્રની લાલ આંખ, યુદ્ધના ધોરણે ઢોર પકડવાની ઝુંબેશ શરૂ, ઢોર માલિકો સામે પણ દંડની કામગીરી

|

Aug 25, 2022 | 2:19 PM

Surat: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ હવે સુરત મહાનગરપાલિકા તંત્ર પણ જાગ્યુ છે અને રખડતા ઢોરોને પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. તંત્રના અધિકારીઓ દ્વારા જ્યાં પણ રસ્તા પર ઢોર દેખાય ત્યાંથી પકડી સલામત સ્થળે મોકલાઈ રહ્યા છે.

સુરત (Surat) શહેરમાં રખડતા ઢોર (Stray Cattle) પકડવાની કોર્પોરેશને કામગીરી શરૂ કરી છે. શહેરમા યુદ્ધના ધોરણે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમા કતારગામ વિસ્તારમાં ઢોર પકડવાની કાર્યવાહી SMC દ્વારા કરવામાં આવી. હાઈકોર્ટ (High Court)ની ફટકાર બાદ રાજ્ય સરકાર પણ આ બાબતે કટિબદ્ધ થઈ છે. રખડતા ઢોર મુદ્દે મુખ્યમંત્રીએ પણ અધિકારીઓ અને સંલગ્ન વિભાગોને આ અંગે ટકોર કરી છે કે ઢોર પકડવાની કામગીરીમાં સ્હેજપણ ઢીલાશ ન વર્તવામાં આવે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. જેને લઈને હવે તંત્રના અધિકારીઓ પણ હરક્તમાં આવ્યા છે. જ્યાં જ્યાં રસ્તા પર ઢોર દેખાય કે તરત તેમને પકડી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવે છે અને ઢોર માલિક સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે અને દંડની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

હાઈકોર્ટના નિર્દેશ બાદ તંત્ર જાગ્યુ

આપને જણાવી દઈએ રાજ્યના દરેક શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વકરી રહી છે. જેને લઈને હવે હાઈકોર્ટ પણ સખ્ત બની છે અને સ્પષ્ટ આદેશ કર્યો છે કે કે રખડતા ઢોર મામલે સરકાર નક્કર નીતિ ઘડી યુદ્ધના ધોરણે કામગીરી કરે. ઉપરાંત હાઈકોર્ટે તેમના નિર્દેશમાં જણાવ્યુ છે કે હવે રખડતા ઢોરના કારણે એકપણ મોત કે અકસ્માત સાંખી નહીં લેવાય. ઉલ્લેખનીય છે કે મહેસાણામાં કડીમાં ત્રિરંગા યાત્રા દરમિયાન અચાનક આવી ચડેલી ગાયે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને અડફેટે લેતા તેઓ પડી ગયા હતા અને તેમને પગમાં ઈજા થઈ હતી.

ઉપરાંત સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના કાફલામાં પણ ઢોર આડે આવ્યુ હતુ. આવી ઘટના રોજબરોજ વધી રહી છે. આ મામલે હાઈકોર્ટે પણ કડક વલણ બતાવી ત્રણ દિવસમાં રખડતા ઢોરના નિકાલ માટે નક્કર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે, જેને પગલે તંત્ર હવે રહી રહીને જાગ્યુ છે અને જ્યાં પણ ઢોર દેખાય તેને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Next Video